Pakistan Condemn Iran Missile Attack: પાકિસ્તાનમાં ઈરાને હવાઈ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઈરાની સેનાએ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. ઈરાની મીડિયાએ જણાવ્યું કે તેની સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. તો આ મામલે પાકિસ્તાને દાવો કર્યો છે કે, ઈરાનના હવાઈ હુમલામાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત થયા છે.
મિસાઈલ અને ડ્રોનનો કરાયો ઉપયોગ
ઈરાનની IRNA ન્યૂઝ એજન્સી અને સરકારી ટેલિવિઝનએ જણાવ્યું કે હુમલામાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાની પાછળ ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડ જવાબદાર છે. જૈશ અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. આ જૂથે માહિતી આપી હતી કે, ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે સગીર બાળકોએ જીવ ગુમાવ્યા છે.
શું છે જૈશ અલ અદાલ આતંકવાદી સંગઠન?
પાકિસ્તાનમાં હાજર જૈશ અલ-અદલ આતંકવાદી સંગઠનને સ્થાનિક ‘આર્મી ઑફ જસ્ટિસ’ પણ કહેવામાં આવે છે. તે એક સુન્ની આતંકવાદી જૂથ છે, જેની સ્થાપના 2012માં કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠન પાકિસ્તાનની સરહદ પાર મોટાપાયે સક્રિય છે. ઈરાને સરહદી વિસ્તારોમાં આતંકવાદીઓ સામે લડાઈ લડી છે, પરંતુ પાકિસ્તાન પર મિસાઈલ અને ડ્રોન હુમલો ઈરાન માટે મોટું પગલું છે.