Delhi Liquor Policy Scam: દિલ્હીના કથિત દારુ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટું એક્શન લીધું છે. EDએ શુક્રવારે સપ્લીમેટ્રી ચાર્જશીટ દાખલ કરતા પહેલીવાર આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ રાજકીય પક્ષને પીએમએલ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ સિવાય કથિત કૌભાંડમાં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આજે EDએ કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી કથિત દારુ કૌભાંડમાં શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી આ આઠમી ચાર્જશીટ છે. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નામનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ પ્રથમ ચાર્જશીટ છે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા હતા જામીન
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં 50 દિવસ સુધી તિહાર જેલમાં બંધ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. . તેમના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીને પણ આ કૌભાંડમાં આરોપી બનાવવા જઈ રહી છે.
'અરવિંદ કેજરીવાલ માસ્ટર માઈન્ડ'
EDએ તેની આઠમી ચાર્જશીટમાં કહ્યું છે કે મનીષ સિસોદિયા અને કે કવિતાની સાથે અરવિંદ કેજરીવાલ પણ આ કેસના માસ્ટરમાઇન્ડ છે. EDનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાંથી મળેલી રકમનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ તેના ગોવાના ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો.
મુખ્ય સચિવે કર્યો હતો ખુલાસો
તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગુ કરી હતી. જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને એક્સાઇઝ પોલિસીમાં અનિયમિતતાઓ અંગે એક રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં પોલિસીમાં ગેરરીતિની સાથે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસની ભલામણ કરી હતી. CBI FIRના આધારે EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ADVERTISEMENT
