ચૂંટણીનો ખર્ચો પડે છે માથે, આ ગામમાં સતત ચાર વખતથી નથી પડતો એકપણ મત

Gujarat Tak

07 May 2024 (अपडेटेड: May 7 2024 7:13 PM)

Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતની 25 બેઠકોના 266 ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ થઈ ગયાં છે.

Lok Sabha Election 2024

4 વખતથી ચૂંટણીનો બહિષ્કાર

follow google news

Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતની 25 બેઠકોના 266 ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ થઈ ગયાં છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના ઘણા ગામડાઓમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા છતાં તેઓ મતદાનથી દૂર રહ્યા હતા. 

આ પણ વાંચો

કેસર ગામના લોકો મતદાનથી અળગા રહ્યા

ભરૂચના વાલીયા તાલુકાના કેસર ગામના લોકો પણ મતદાનથી અળગા રહ્યા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે કેસરગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોય, કેસર ગામના રહીશો છેલ્લા ચાર વખતથી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરતા આવ્યા છે. આ ગામમાં કુલ મતદારો 352 છે, જેમાં 175 મહિલાઓ અને 177 પુરુષ મતદારો છે.

કીમ નદી પર બ્રિજ બનાવવાની માંગ

કેસર ગામના રહીશો દ્વારા છેલ્લા ઘણા સમય કીમ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ મામલે ભરૂચના સાંસદ અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. દર ચોમાસામાં કેસર ગામના રહીશોને નદી ઓળંગીને જવું પડે છે, ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 

આ પણ વાંચોઃ ચૂંટણીનો બહિષ્કાર, અનેક જગ્યાએ હજુ સુધી નથી પડ્યો એકય મત; કારણ ચોંકાવનારું

 

ચોમાસામાં વેઠવી પડે છે હાલાકીઃ સ્થાનિકો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કીમ નદી ઉપર જો બ્રિજ બની જાય તો ગ્રામજનોને 20 કિલોમીટર ફરવા નહીં જવું પડે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 

આ પણ વાંચોઃ Lok Sabha Election: અમરેલીમાં નીરસ મતદાન વચ્ચે ગુજરાતના આ ગામમાં 100 ટકા મતદાન

 

અધિકારીઓના કહેવા છતાં ન માન્યા

નોંધનીય છે કે, કુલ 352 મતદારો ધરાવતા કેસર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરતા ઈલેક્શન કમિશનના અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓ કેસર ગામે પહોંચીને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં  ઈલેક્શન કમિશનના અધિકારીઓને ગ્રામજનોને મનાવવામાં સફળતા મળી ન હતી અને બુથ પર એકપણ મત પડ્યો નહોતો. 


ઈનપુટઃ ગૌતમ ડોડીયા, ભરૂચ
 

    follow whatsapp