Rajkot Lok Sabha Election 2024: ગુજરાતમાં સુરતની લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીતી ગયા. સુરતની જેમ રાજકોટમાં પણ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બિનહરીફ જીતાડવા માટે કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ કારસો રસ્ચો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો પણ કોંગ્રેસના જ નેતા દ્વારા કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડો. હેમાંગ વસાવડાનો સ્ફોટક ખુલાસો
રાજકોટથી કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં આજે સાંભળ્યુ કે વિક્રમ સોલંકી ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજકોટ લોકસભા માટે કેટલાક નેતાઓએ તેમનું નામ સૂચવ્યું હતું. મારી અને મારા મિત્રોની સજાગતાના કારણે રાજકોટ લોકસભા સીટ સુરત જેમ બનતા રહી ગઈ. નહીંતર રાજકોટમાં પણ આ પ્રકારની જ ઘટના બની હોત.
કોંગ્રેસના નેતાઓ પર કર્યા ગંભીર આરોપ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ડો. હેમાંગ વસાડવાએ જણાવ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ વિક્રમ સોરાણીને લોકસભા માટે ઉમેદવાર બનાવવાની માંગ કરી હતી. જોકે તેઓ કોંગ્રેસના કમિટેડ નેતા ન હોવાથી અમે તેમનો વિરોધ કરતા પાર્ટીએ શિસ્તભંગના પગલા લેવાની ચીમકી આપી હતી. પરંતુ હવે સામે આવ્યું છે કે વિક્રમ સોરાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો રાજકોટથી તેમને ટિકિટ મળી હોત તો સુરતના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં પણ થયો હોત.
સુરતમાં નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હતા!
નોંધનીય છે કે, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા. સુરત લોકસભા સીટ થયેલા આ ખેલમાં કોંગ્રેસના જ ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તો આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પણ અટકળો ચાલી રહી છે.
ADVERTISEMENT