થોડા તો માણસ બનોઃ નડિયાદમાં માવતર વિનાની દીકરીના લગ્નમાં વીજ પોલ પડ્યો પણ તંત્રએ કહ્યું…

Urvish Patel

20 Feb 2023 (अपडेटेड: Feb 20 2023 4:36 PM)

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ MGVCL ની ઈમ્પેક્ટ સર્વિસીસ એજન્સી દ્વારા પ્રગતિનગરમાં ગત રાત્રીના સમયે પ્રગતિનગરના જર્જરીત ફ્લેટનું છજુ વીજ વાયરો ઉપર પડતા રાત્રીના સમયે વીજળી ગુલ…

gujarattak
follow google news

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ MGVCL ની ઈમ્પેક્ટ સર્વિસીસ એજન્સી દ્વારા પ્રગતિનગરમાં ગત રાત્રીના સમયે પ્રગતિનગરના જર્જરીત ફ્લેટનું છજુ વીજ વાયરો ઉપર પડતા રાત્રીના સમયે વીજળી ગુલ થઈ ગઈ હતી. સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલ ને જાણ કરતા વહેલી સવારે કોન્ટ્રાકટના માણસો વીજ પોલ નાખવાની કામગીરી કરવા આવ્યા હતા. ત્યાં વીજ પોલ નાખવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન વીજ પોલ લગ્ન મંડપ ઉપર પડતા નાસભાગ મચી ગઈ હતી. વીજ પોલ પડતા મંડપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને જમણવાર પણ બગડતા મહેમાનોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. પ્રસંગમાં જ્યારે આવી ઘટના બની તે પછી દીકરી અને તેના પરિવારમાં ભારોભાર નિસાસો જોવા મળ્યો હતો. કારણ કે હવે આ નુકસાનીનું શું? તંત્ર તો કહે છે હા થોડું નુકસાન છે પણ વળતરની કોઈ વાત નહીં, લગ્નમાં જમણવાર બગાડ્યાની કોઈ વાત નહીં, દીકરીના નિસાસાની કોઈ વાત નહીં. જાણે તંત્રની માણસાઈ પણ મરી ગઈ હોય તેવા જવાબે સહુને સ્તબ્ધ કર્યા છે.

આ પણ વાંચો

ગુજરાતના પૂર્વ ગવર્નર ઓ પી કોહલીનું નિધનઃ શિક્ષકથી ગવર્નર સુધીની સફર

પોલીસે પણ ફરિયાદ લેવાની ના પાડી
પ્રગતિનગરમાં રહેતા રિદ્ધિબેન પ્રવિણભાઈ સોલંકીના લગ્નની વિધિ ચાલતી હતી. અને બીજી બાજુ એમ.જી.વી.સી.એલએ કોન્ટ્રાકટ આપેલો તે ઈમ્પેક્ટ સર્વિસીસ એજન્સીના માણસો સામે નવો વીજ પોલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. જોકે કોન્ટ્રાકટના માણસો નશાની હાલતમાં કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનીકો દ્વારા થયો છે, તો બીજી બાજુ આ નુકસાનની ભરપાઈ કોણ કરશે તે પ્રશ્ન ઊભો થયો છે. યુવતીના સગા સંબંધીઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો પોલીસે ફરિયાદ લેવાનીના પાડતા પરિવાર જનો નિરાશ થયા હતા.

અરવલ્લી ASIએ પોલીસ સ્ટેશનને જ બનાવ્યો ભ્રષ્ટાચારનો અડ્ડો, ખુરશી પર બેસીને જ લેવાની લાંચ

માત-પિતા વિહોણી દીકરીના લગ્નનો ખર્ચની નુકસાની
આ અંગે દીકરીની માસીના જણાવ્યા અનુસાર, “મારી ભાણીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. અમે અંદર વિધિ કરી રહ્યા હતા. અહીંયા લોકો સામે ખાડા ખોદતા હતા અને બધા પીધેલા જ હતા. અમારું તો બધું ખાવાનું બગડી ગયું. અમે તો બધા બેઠા હતા અને એકદમ જ થાંભલો પડ્યો મંડપ ઉપર, અને નીચે રસોઈ હતી અને રસોઈ બધી બગડી ગઈ. હવે આજે ભત્રીજીના લગ્ન છે, એને મા એ નથી અને પિતા પણ નથી અને જેમ તેમ બધું ભેગું કરીને લગ્નની તૈયારીઓ કરી હતી અને હવે આ બધું બગડ્યું છે. થાંભલો તો બીજી બાજુ પડ્યો હતો અને કોઈ સપોર્ટ વગર થાંભલો નાખવાની કામગીરી કરતા હતા હવે અમારા નુકસાનની ભરપાઈ કોણ કરશે.”

લગ્નમાં હાજર મહેમાને કહ્યું…
લગ્નપ્રસંગમાં ઉપસ્થિત પ્રકાશ ભાઈના જણાવ્યા અનુસાર,” એસટી નગરની સામે પ્રગતિનગર આવેલું છે. પ્રગતિનગરમાં બનાવ બન્યો હતો. જીઇબીના જે કોન્ટ્રાક્ટર હતા એમણે પીધેલા માણસો મોકલી દીધા અને ખાડો કર્યો. આ ખાડાના કારણે જ થાંભલો પડી ગયો. જ્યારે કામગીરી કરતા હતા ત્યારે અમને કશું જ કહેવામાં ન આવ્યું. અમને એવું પણ ના કહેવામાં આવ્યું કે અહીંયા કામગીરી ચાલી રહી છે અને થાંભલો એકાએક પડ્યો. અંદર બધી રસોઈ પર થાંભલો પડવાથી રસોઇ બધી બગડી ગઈ. ખુરશીઓ મૂકી હતી ખુરશીઓ તૂટી ગઈ. 400 માણસની રસોઈ બનાવી હતી. ખરા ટાઈમે જ બધુ બગડી ગયું. કોઈના પેટમાં ખાવાનું પણ ના ગયું. મહેમાનો ભુખ્યા રહ્યા. હવે ફરીથી બધુ કેમનું કરીશું?”

અમદાવાદમાં પ્રદૂષણને કારણે દિલ્હી જેવા દ્રશ્યો સર્જાય તો નવાઇ નહી

MGVCLના અધિકારીએ કહ્યુંઃ ફરીથી નવા પોલ નાખીશું
તો આ અંગે mgvclના ડેપ્યુટી એન્જિનિયર ભાવેશ પારેખે જણાવ્યું કે, “ગત રાત્રે 3:00 વાગે અમારે કંટ્રોલમાં ફરિયાદ આવી હતી કે આ જગ્યાએ છજુ પડ્યું છે ફ્લેટનું, પ્રગતિનગરની સામે. તે વખતે અમારા સ્ટાફે તપાસ કરતા કોઈને કરંટ ના લાગે એટલા માટે તાત્કાલિક જે કાર્યવાહી કરવાની હતી તે કરી અને ત્યારબાદ અત્યારે સવારે કામ કરવા આવ્યા. ઓલરેડી ત્રણ થાંભલા તૂટી પડે તેવી અવસ્થામાં હતા. તેના કારણે ખાડા કરીને નવા પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલુ કરી જે તૂટી ગયેલો છે એ થાંભલો પણ પડી ગયો તેના કારણે ત્યાં કોઈ લગ્ન હતું તેના મંડપ પર થાંભલો પડ્યો અને મંડપ તૂટી ગયો. ખુરશીઓ થોડી ગઈ છે. મંડપ તૂટ્યો છે. પણ કોઈને જાનમાલની ઇજા નથી થઈ. અમારા કોઈ ધ્યાનમાં નથી કે કોઈ પીને આવ્યા હોય કામગીરી કરવા માટે. હવે અમે ફરીથી મરામત કરીને નવા પોલ ઊભા કરવાની કામગીરી કરીશું.”

મુંદ્રા પોર્ટથી મળેલ ડ્રગ્સ વેચીને પૈસા આતંકવાદીઓને આપવાનું હતું ષડયંત્ર: NIA

દીકરી અને સ્વજનોમાં ભારોભાર નિસાસો
મહત્વનું છે કે mgvcl ના અધિકારીઓ જેનો પ્રસંગ ચાલી રહ્યો હતો તેની નુકસાની અંગેની કોઈ જ વાત નથી કરી રહ્યા. જે દીકરીના લગ્ન હતા તેના લગ્નમાં મહેમાનોને ભૂખ્યા રહેવું પડ્યું તેની કોઈ વાત નથી કરી રહ્યા, લગ્ન પ્રસંગે થયેલી નુકસાનીની ભરપાઈ અંગે પણ કોઈ વાત નથી કરી રહ્યા કે પછી માનવતાની ધોરણે એ દીકરીની માફી પણ માગી રહ્યા નથી. માત્ર એટલું જ કહી રહ્યા છે કે મંડપ તૂટ્યો છે અને ખુરશીઓ તૂટી છે. પરંતુ એક મા-બાપ વગરની દીકરીના લગ્નની વિધિ ચાલી રહી હતી, અને એ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો ખાધા વગર જ રહેતા, દીકરી સહિત તેના સ્વજનોમાં ભારે નિસાસો જોવા મળી રહ્યો છે. એવામાં આ પરિવારને નુકસાનીનું વળતર મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. હવે આવા લોકોનું સાંભળનારું પણ અહીં કોણ છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યું નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp