Surat News: સુરતમાં ફરી પત્રિકા કાંડ, ભાજપે મોટા નેતાની રાતોરાત કરી હકાલપટ્ટી!

Yogesh Gajjar

06 Feb 2024 (अपडेटेड: Feb 6 2024 6:46 AM)

સુરતમાં પત્રિકા કાંડમાં ભાજપના નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. પત્રિકા કાંડમાં શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહનું નામ સામે આવ્યું. ભાજપના જ આગેવાનો પર આરોપ સાથેની…

Surat BJP leader sacked

Surat BJP leader sacked

follow google news
  • સુરતમાં પત્રિકા કાંડમાં ભાજપના નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું.
  • પત્રિકા કાંડમાં શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહનું નામ સામે આવ્યું.
  • ભાજપના જ આગેવાનો પર આરોપ સાથેની પત્રિકા અન્ય આગેવાનોને મોકલાઈ હતી.

Surat News: ભાજપમાં પત્રિકાકાંડનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. સુરતમાંથી પત્રિકાકાંડ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ગેર વહીવટના આક્ષેપો સાથે વિવાદમાં રહેતા ધનેશ શાહે ભાજપના જ આગેવાનો વિરુદ્ધ પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી. જે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાઓ છે.

આ પણ વાંચો

કાર્યકાળ પૂરો થાય તે પહેલા શિક્ષણ સમિતિના ચેરમેનનું રાજીનામું

વિગતો મુજબ, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધનેશ શાહ કાર્યરત હતા. જોકે તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ અચાનક તેમનું રાજીનામું પડ્યું છે. ચર્ચા છે કે પાલિકાના પદાધિકારીઓ સામે પત્રિકાકાંડ સામે આવ્યો હતો, જેમાં ધનેશ શાહે જ ભાજપના આગેવાનો વિરુદ્ધ પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી. એવામાં તેમનું રાજીનામું ભાજપ દ્વારા જ લઈ લેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

15 દિવસ પહેલા સુરતમાં પત્રિકાકાંડ સામે આવ્યો હતો

નોંધનીય છે કે, 15 દિવસ પહેલા સુરતમાંથી પત્રિકા કાંડ સામે આવ્યો હતો. જેમાં અનેક નેતાઓના ઘરે અનેક નેતાઓ વિરુદ્ધ લખાણ વાળી પત્રિકાઓ મોકલાઈ હતી. આ પત્રિકાઓ ધનેશ શાહે મોકલાવી હોવાના આક્ષેપ થયા હતા. ગુજરાત તક દ્વારા આ મામલે ધનેશ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

પત્રિકા કાંડમાં સંડોવણી હોવાની ચર્ચા

પત્રિકા કાંડને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફૂટેજમાં ધનેશ શાહ દેખાતા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એવામાં તેમની સામે પત્રિકા કાંડને લઈને ગંભીર આક્ષેપો ઉઠ્યા બાદ ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

જોકે બીજી તરફ વિપક્ષ દ્વારા ધનેશ શાહનું ભ્રષ્ટાચારના આરોપથી રાજીનામું લેવાયું હોવાનું કહેવાઈ રહ્યું છે. AAPના સુરત શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું કે, વિપક્ષ અને મીડિયામીત્રો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ જેવા કે શિક્ષકોની અછત, શાળા સફાઈ, લિક્વિડ કૌભાંડ, વાર્તા કૌભાંડ, યુનિફોર્મ સહિત તમામ ખરીદીઓમાં થતા ગોટાળાઓ, સાથી શિક્ષકો – કોમ્પ્યુટર ઓપરેટરો – સુરક્ષાકર્મીઓના પગારમાંથી થતી કટકીઓ, સામાન્ય સભામાં થતી દાદાગીરીઓ, વગેરે જેવા અનેક મુદ્દે ભાજપ શાસકો વારંવાર બેકફૂટ ઉપર જઈ રહ્યા હતા અને ભાજપના આ ભ્રષ્ટાચારો અને ગેરવહીવટની અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી હતી. પત્રિકાકાંડ માત્ર એક બહાનું છે, ખરું કારણ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને અક્ષમતા જ છે.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)

 

    follow whatsapp