ગુજરાત સ્થાપના દિવસ: ‘નમું તને હું ગુર્જરી’, વાંચો ગૌરવવંતા ગુજરાતની ગૌરવગાથા
Gujarat Foundation Day: ગુજરાત એક પ્રદેશ, વિસ્તાર કે રાજ્ય-શહેર નથી, ગુજરાત એક લાગણી છે. ગુજરાત એક સ્વભાવ છે. બીજા રાજ્યોમાં આપણને ‘ખમણ-ઢોકળા’ કહીં ભલે ચીડવતા હોય પણ વેપારમાં આપણો એક્કો હંમેશા કાયમ રહ્યો છે.
ADVERTISEMENT

Gujarat Foundation Day: ગુજરાત એક પ્રદેશ, વિસ્તાર કે રાજ્ય-શહેર નથી, ગુજરાત એક લાગણી છે. ગુજરાત એક સ્વભાવ છે. બીજા રાજ્યોમાં આપણને ‘ખમણ-ઢોકળા’ કહીં ભલે ચીડવતા હોય પણ વેપારમાં આપણો એક્કો હંમેશા કાયમ રહ્યો છે. શેર માર્કેટમાં ગુજરાતીઓ હાથ હટાવી લે તો શું થાય તે ભારત જાણે છે. આપણે મહાન હિન્દુસ્તાનનો એક એવો અંગ છીએ જેની નોંધ ઠેક ઠેકાણે છે. અસરદાર સરદાર હોય કે કવિ કાલીદાસ કે પછી હોય અંબાણી, અદાણી કે ટાટા વિશ્વખ્યાતીની દેન આ ધરતી જ તો છે.
ગુજરાતનો એ રાજકીય ખેલ!
તમને ખબર છે ગુજરાતનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજે કર્યું હતુ. ચાર ચોપડી પાસ હતા પણ તેમની રગેરગમાં દેશસેવાની ભાવના હતી. આ એ ગુજરાત છે જ્યાં રાજકીય ડ્રામા પણ એવા થયા જેની દેશે નોંધ લીધી અને તેનું અનુસરણ પણ થયું. આ એ ભૂમિ છે જ્યાં ચીમનભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓએ પંચવટી અને ખજુરાહો પ્રકરણ કરી હાઈકમાન્ડને પાણી લાવી દીધેલા. તો સામે આ એ ધરતી છે જેના યુવાઓએ નવનિર્માણ આંદોલન કરી દેશમાં પહેલી વખત કોઈ રાજ્યના મુખ્યમંત્રી એટલે કે ચિમનભાઈ પટેલને ગાદી છોડવા મજબૂર કરેલા. આ એ ગુજરાત છે જેણે એક પણ ચૂંટણી ન લડેલા સંઘ પ્રચારકને નેતા તો બનાવ્યા જ પણ પહેલી જ ચૂંટણી જીતાડી મુખ્યમંત્રી પણ બનાવી દીધા અને આજે તેઓ દેશની કમાન સંભાળી રહ્યા છે.
ADVERTISEMENT
વિદેશમાં પણ ગુજરાતી સ્વાદ ગોતે તે ગુજરાતી
વિદેશી ધરતી પર કોઈ અજાણ્યા ગુજરાતી મળી જાય તો જાણે બાજુની શેરીમાં રહેતા હોય તેવો અહેસાસ કરાવે તે ગુજરાતી. એક કટિંગ ચાની પણ કટિંગ ભલે કરાવીએ પણ ઘેર આવેલા મહેમાનને કદી ભૂખ્યા ન જવા દઈએ . લંડન જઈએ કે અમેરિકા પણ થેપલા, ચવાણું અને અથાણાં માટે લગેજના એક્સ્ટ્રા રૂપિયા ભરે તે ગુજરાતી. આપણે એટલે જ તો કહીએ છીએ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત... મહેમાનગતિના ક્લાસ લેવા હોય તો સૌરાષ્ટ્ર જવું પડે.ધંધો કરતા શિખવું હોય અમદાવાદ સુરત આવવું પડે. પશુપાલ અને ખેતી શિખવી હોય તો એક વખત ઉત્તરમાં આંટો મારો અને એકલા હાથે કુદરતની રક્ષા કેવી રીતે થાય તે જોવું હોય તો આદિવાસી પટ્ટામાં ભૂલા પડો. સફેદ રણ કોને કહેવાય અને સરહદની રક્ષા કેમ થાય એ જોવું હોય તો કચ્છમાં આવો...
નવી પેઢીને ગુજરાતીપણાને ગંભીરતાથી લેવાની જરૂર
પણ સવાલ એ થાય કે શું ગુજરાતે અને ગુજરાતીઓએ કંઈ બદલવાની જરૂર છે અથવા કંઈ સુધારવાની જરૂર છે. મારા દ્રષ્ટિકોણથી કદાચ હા...ગુજરાતીઓએ પોતાના ગુજરાતીપણાને ગંભીરતાથી લેવાની જરૂર છે. ધીરે ધીરે નવી પેઢીના લોકો ગુજરાતીપણાનું મહત્વ અને આદર ભૂલતા જઈ રહ્યા છે. આપણી પોતાની ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા ભૂલી રહ્યા છે, ટ્રેન્ડના નામ વધતો અન્ય ભાષાનો ઉપયોગ ગુજરાતી ઘરના ઉમરા સુધી પહોંચી ગયો છે. નવી ભાષા શિખવામાં કંઈ ખોટું નથી પણ ખુદની માતૃભાષાનું ઘટતું મહત્વ ચિંતાજનક છે. આજે માતૃભાષા દિવસ તો નથી પણ દરેક ગુજરાતીઓનો ‘માતૃ’ દિવસ છે જેથી ભાષાના ઘટતા મહત્વની ચિંતા સતાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જય જય ગરવી ગુજરાત
સોસાયટીના ગાર્ડનમાં બે ગુજરાતી ભૂલકાઓ માતા-પિતાની હાજરીમાં ફાફડૂ અંગ્રેજીમાં સંવાદ કરે અને જો માતા પિતા તેમાં ગર્વ લે તો ચોક્કસ ચિંતા કરવી જોઈએ. ગુજરાતીપણુ માત્ર ગુજરાતી બોલવાથી નહીં પણ આપણને પાણીમાં મળેલા આવકાર અને આદરથી પણ છે. ગુજરાતીઓની પારિવારીક જીવન શૈલીના દાખલા અપાઈ છે પણ આજકાલ આપણને ખુદ માટે પણ સમય નથી. એક બહાના પૂરતુ આપણે એમ કહી દયે તો ચાલે કે "નોકરી-ધંધામાંથી ક્યાં સમય મળે છે" પણ મૂળ વાત એવી છે કે મહત્વ બદલાઈ ગયુ છે. ખેર આજનો દિવસ ફરિયાદ કરવાનો નહીં પણ ગુજરાતની સ્થાપના માટે જેમણે પોતાનું સર્વસ્વ આપ્યું છે તેને યાદ કરવાનો છે. ઇન્દુલાલ યાજ્ઞિક, સનન મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ જેવા મહાગુજરાત આંદોલનામાં મહત્વના આંદોલકારીઓને યાદ કરવાનો છે, તેમને ધન્યવાદ કહેવાનો છે. અંતમાં એટલું તો કહીશ કે સૌ ગુજરાતી માતા-પિતાની એ જવાબદારી છે કે પોતાના સંતાનને ગુજરાત સ્થાપનાની પરિશ્રમ ગાથાથી અવગત કરાવે. કેવી રીતે ગુજરાત બન્યું ? કોણે-કોણે યોગદાન આપ્યું ? આપણે કોણ છીએ ? આવા સવાલોનો જવાબ જો આજના બાળકો-યુવાઓ આપતા થઈ જશે તો વિશ્વાસ છે કે ગુજરાત વધુ નીખરી ઉઠશે. હંમેશા યાદ રાખો કે ગુજરાત ત્યારે પણ મહાન હતુ, આજે પણ છે અને હંમેશા રહેશે. જય જય ગરવી ગુજરાત
ADVERTISEMENT