અમદાવાદના પેલેડિયમ મોલમાં પાંચ મોટી બેદરકારી હોવાની ફરિયાદ, દુર્ઘટના બને તો કોણ જવાબદાર?

અમદાવાદમાં ધમધમતા પેલેડિયમ મોલમાં ફાયર પંપ, ઈમરજન્સી એક્ઝિટ, ફાયર લિફ્ટ, રેફ્યુઝ એરિયા સહિતની ખામીઓ મામલે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, પેલેડિયમ મોલમાં ધમધમતા ત્રણ ગેમ ઝોન પાસે ફાયર NOC નહોતી. 

પેલેડિયમ મોલ અમદાવાદ

palladium mall ahmedabad

follow google news

Ahmedabad Palladium Mall Fire Safety Issue : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના ભોગ લેવાયા હતા. જે મામલે SITની રચના કરાઈ હતી. તેની તપાસમાં ગેમ ઝોનમાં ફાયર NOC, ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ સહિતની અનેક ગુનાહિત બેદરકારીએ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારના આદેશથી અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસની ટીમો દ્વારા ફાયર, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ સહિતની પોલીસ મંજૂરી અંગે તપાસ હાથ ધરાઈ હતી. જોકે, ગેમ ઝોન સિવાય અમદાવાદમાં ધમધમતા પેલેડિયમ મોલમાં ફાયર પંપ, ઈમરજન્સી એક્ઝિટ, ફાયર લિફ્ટ, રેફ્યુઝ એરિયા સહિતની ખામીઓ મામલે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, પેલેડિયમ મોલમાં ધમધમતા ત્રણ ગેમ ઝોન પાસે ફાયર NOC નહોતી. 

પેલેડિયમ મોલમાં ગંભીર બેદરકારી?

અમદાવાદ શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા પેલેડિયમ મોલમાં અનેક ખામીઓ-બેદરકારીઓ હોવાના પુરાવા મળ્યા હતા. જે મામલે અમદાવાદ મહાનગરપાલિકા, મુખ્યમંત્રી, વડાપ્રધાન કાર્યાલય અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જાગૃત નાગરિક અર્જુન જતીનકુમાર હલ્દીવાલા દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઈ હતી. 

જાગૃત નાગરિક અર્જુન જતીનકુમાર હલ્દીવાલાએ જણાવ્યું હતું કે, તેઓ અવારનવાર પરિવાર સાથે પેલેડિયમ મોલ જતાં હોય છે. રાજકોટની ઘટના બાદ ફરિયાદીને પેલેડિયમ મોલમાં પણ ફાયર સેફ્ટિ સહિતની ખામીઓ ધ્યાને આવી હતી. જે મામલે તેમના એડવોકેટ શિવરાજસિંહ પરમારને જાણ કરી હતી. જે બાદ એડવોકેટ શિવરાજસિંહ પરમારે આ દિશામાં તપાસ કરતા પેલેડિયમ મોલ ફિનિક્ષ ગ્રુપ દ્વારા સંચાલિત હોવાનું સામે આવ્યું હતું. 

પહેલી ખામી : મોલમાં ખુબ ઓછા ફાયર એક્ઝિટ

પેલેડિયમ મોલમાં કેટલીક બાબતોમાં ત્રુટી જણાઈ આવી હતી. જેની પહેલી ખામી અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના બાંધકામમાં દર 25 મીટરના અંતરે ફાયર એક્ઝિટ તરીકે પગથિયા હોવા જરૂરી છે. જેથી લોકો તાત્કાલિક બહાર નીકળી જીવ બચાવી શકે પરંતુ તેની સામે ખુબ જ ઓછા ફાયર એક્ઝિટ અપાયેલા છે. 

બીજી ખામી : માત્ર એક જ રેફ્યુઝ એરિયા

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ફાયર સેફ્ટીના નિયમો અનુસાર દરેક માળ પર બે રેફ્યુઝ એરિયા હોવા જરૂરી છે. જેનો ઉપયોગ આગ સહિતની ઘટના સમયે લોકો આશ્રય લેવા માટે કરતા હોય છે. આ બંને રેફ્યુઝ એરિયા એકબીજાની સામ-સામે હોવા જોઈએ તેવા નિયમો છે. પરંતુ પેલેડિયમ મોબલમાં દરેક માળ પર માત્ર એક જ રેફ્યુઝ એરિયા છે. 

ત્રીજી ખામી : 11 ફાયર લિફ્ટની જરૂરિયાત, ફક્ત 6 કાર્યરત

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ફાયરના સાધનો ખુબ જ ટાંચા હોવા છતાં ફાયર NOC આપી દેવાઈ છે. આ પ્રકારની બિલ્ડિંગને એસેમ્બલી બિલ્ડિંગની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. હવે આ પ્રકારના બાંધકામમાં પ્રતિ 1200 સ્કેવર ફૂટના બાંધકામમાં એક ફાયર લિફ્ટ હોવી જરૂરી છે. જેની સામે દરેક માળ પર અંદાજિત 12000 સ્ક્વેર ફૂટના બાંધકામમાં ફક્ત 6 લિફ્ટ કાર્યરત છે. ત્યારે ખરેખર પેલેડિયમ મોલમાં કુલ 11 ફાયર લિફ્ટની જરૂરિયાત હોવાનું જણાઈ આવે છે. પરંતુ તેના પાંચમા ભાગની લિફ્ટ જ કાર્યરત છે અને હજારો લોકોને માત્ર 6 લિફ્ટ મારફતે ઈમરજન્સી સમયે બહાર નીકળવું મુશ્કેલ છે.

ચોથી ખામી : 2850ની જરૂરી ક્ષમતા સામે 2280 લિટરનો ફાયર પંપ

પેલેડિયમ મોલમાં ફાયર NOC લેતા સમયે આગ સામે લડવા માટે પાણીથી ભરેલા ફાયર પંપની ક્ષમતા અંગે સ્પષ્ટતા કરાઈ હતી. જેમાં એવું દર્શાવાયું હતું કે, મોલમાં રહેલા ફાયર પંપની 2280 લિટર પ્રતિ મિનિટની ક્ષમતા વાળો પંપ આવેલો છે, પરંતુ ખરેખર મોલમાં 2850 લિટર પ્રતિ મિનિટવાળો પંપ હોવો જરૂરી છે. જેથી આટલી મોટી બિલ્ડિંગમાં આગ લાગે તો તેના પર કાબુ મેળવી શકાય.

પાંચમી ખામી : એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાં ખામી

ફાયર NOC બાદ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાં રહેલી ખામીઓ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, પેલેડિયમ મોલમાં 25 રેસ્ટોરન્ટ-ફુડ કોર્ટનું અપ્રુવલ છે. જ્યારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવામાં આવ્યું ત્યારે એવું દર્શાવાયું ન હતું કે મોલમાં અંદાજિત 50 જેટલા રેસ્ટોરન્ટ અને ફુડ કોર્ટ આવેલા છે. આ તમામ રેસ્ટોરન્ટ અને ફુડકોર્ટ ચોથા અને પાંચમા માળે આવેલા છે. હંમેશા આગની શરૂઆત રેસ્ટોરન્ટના કિચન એરિયાથી થતી હોય છે. કારણ કે અહીં એલપીજી ગેસ તેમજ જ્વલનશીલ પદાર્થ મોટી માત્રામાં હાજર હોય છે. હવે જ્યારે રેસ્ટોરન્ટની સંખ્યા ઓછી દર્શાવીને ક્લિયરન્સ મેળવવામાં આવ્યું હતું તેનો સૌથી મોટો પુરાવો એ છે કે પેલેડિયમ મોલનું સંચાલન કરતી સંસ્થાએ પાછળથી આ બાંધકામ માટે એક્સપાન્સન મુકવામાં આવ્યું છે જે હજુ સુધી મંજુર થઈને પણ નથી આવ્યું તેમ છતાં મોલ ધમધમી રહ્યો છે.

મોલ તરફથી ન મળી કોઈ પ્રતિક્રિયા

ફરિયાદીની માહિતીના આધાર પર અમે પેલેડિયમ મોલ પાસે માહિતી મંગાવી હતી. પેલેડિયમ મોલના ફોન નંબર મેસેજ અને ઈમેઈલ આઈડી પર મેઈલ કરીને માહિતી માંગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પેલેડિયમ મોલ તરફથી અમને કોઈ પ્રત્યુતર મળ્યો નહીં. હવે ફરિયાદ બાદ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે તો સમય જ બતાવશે.

ફરિયાદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદની કોપી :View PDF

    follow whatsapp