અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કોંગ્રસમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની રેસમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નામ મોખરે છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મનહર પટેલે ટ્વિટ કરી કહ્યું કે, ખડગેને મારો સમ્માનજનક અનુરોધ છે, રાહુલ ગાંધીની ઈચ્છા અને ભાવના અનુસાર કોંગ્રેસમાં બદલાવ કરવામાં આવે.
ADVERTISEMENT
એક તરફ કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તાએ ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટા ફેરફારની વાત કરતાં રાજકરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જોવાનું રહ્યું કે કોંગ્રેસની ડૂબતી નાવની કમાન કોને સોંપવામાં આવે છે. આવનાર કોંગ્રેસ અધ્યક્ષ લોકસભાની ચૂંટણીમાં બદલાવ લાવશે કે 2019ના પરિણામનું પુનરાવર્તન કરશે.
જાણો શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તાએ
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે કોંગ્રેસ નેતા મનહર પટેલનુ ટ્વિટઃ”અધ્યક્ષની નિમણૂંક પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા બદલાવ કરવામાં આવે, મલ્લિકાર્જુન ખડગેને મારો સમ્માનજનક અનુરોધ છે, રાહુલ ગાંધીની ઈચ્છા અને ભાવના અનુસાર કોંગ્રેસમાં બદલાવ કરવામાં આવે”
ચૂંટણીમાં કારમી હાર અને નારાજગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહ્યા છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ મામલે ચર્ચાઓ ચાલી રહી છે.
જ્ઞાતિનું સમીકરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની બાજી બગાડી છે તેમ માની શકાય છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 17 બેઠકો જ મેળવી હતી. આ સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાની પણ હાર થઈ છે. ત્યારે હવે કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપી છે. ત્યારે વિપક્ષ નેતા અને પક્ષ પ્રમુખ બંને OBC ચહેરાને કોંગ્રેસ પ્રાધાન્ય આપવાનું રિસ્ક નહીં લે. જેને પરિણામે પ્રદેશ અધ્યક્ષ બદલાય શકે છે.
કોણ છે અધ્યક્ષની રેસમાં
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના માળખામાં ગમે તે ઘડીએ ફેરફાર કરી શકે છે. જગદીશ ઠાકોરની જગ્યાએ હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી અને પાટીદાર સમાજના 2024માં મનામણાં કરી શકે છે.
BJP ના ધારાસભ્યોને સંસદીય કાર્યશાળામાં નથી રસ, 50 જેટલા ધારાસભ્યો રહ્યા ઘેર હાજર
મનહર પટેલની ટિકિટ કપાતા થયા હતા નારાજ
બોટાદમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોને લઈ નારાજગી સામે આવી હતી. બોટાદથી રમેશ મેરને ટિકિટ આપતા કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ નારાજ થયા હતા. મનહર પટેલે ટ્વીટ કરીને કહ્યુ, ‘બોટાદ બેઠક પર કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ મારા નામ પર ફેર વિચારણા કરીને ટિકિટ આપે’. તેમજ મનહર પટેલે કોંગ્રેસ પક્ષને ચીમકી આપી છે. કે “મારી સાથે 2017ની જેમ પુનરાવર્તન થયું, તો તે પક્ષના હિતમાં નહીં હોય.” ટ્વીટમાં તેમણે રામ કિશન ઓઝા, રધુ શર્મા, અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યા છે. આમ મનહર પટેલે સોશિયલ મીડિયા પર મનોવ્યથા ઠાલવી હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
