Gujarat Assembly Elections 2022: અમદાવાદ શહેરની મોટા ભાગની વિધાનસભા સીટો પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળે છે. અહીં ભાજપ ગમે તેને ઉમેદવાર બનાવે તે જીતી જાય તે વાત પાક્કી છે. શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિ નહી પરંતુ ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. જો કે આમ છતાં પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બાપુનગર વિધાનસભા સીટ પર કોંગ્રેસને સફળતા મળી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આબરૂ સુરત અને અમદાવાદ વિધાનસભાએ જ બચાવી હતી અને ભાજપ 99 સીટો સાથે સરકાર બનાવી શકી હતી.
ADVERTISEMENT
2017ની ચૂંટણીમાં કોંગ્રેસે મારી હતી બાજી
અમદાવાદ વિધાનસભા શહેરની બાપુનગર વિધાનસભા સીટ પર વર્ષ 2012 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગરૂપસિંહ રાજપુતને જીત મળી હતી. વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપુતને કોંગ્રેસ પાર્ટીના નેતા હિમ્મતસિંહ પટેલે પરાજીત કર્યા હતા અને અમદાવાદ શહેરની આ સીટ કોંગ્રેસ પાસે આવી હતી.
બાપુનગરમાં પાટીદારો અને પરપ્રાંતીય મતદાતાઓનો દબદબો
બાપુનગર વિધાનસભા સીટ પર સૌરાષ્ટ્રના પાટીદાર અને પરપ્રાંતીય મતદાતાઓનો દબદબો છે અને આ જ કારણે હિમ્મતસિંહ પટેલને સફળતા મળી હતી. પરપ્રાંતિય મતદાતાઓ કોંગ્રેસ તરફી ઝોંક ધરાવતા હતા. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલનની આગ સારી રીતે ઠરી નહોતી. જેનો સીધો જ ફાયદો કોંગ્રેસને મળ્યો. ભાજપે પોતાના ગઢને ગુમાવવો પડ્યો હતો. જો કે પાટીદારોનો આક્રોશ હવે શાંત પડી ચુક્યો છે અને 2022 ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અહીં મજબુત જોવા મળી રહી છે. જેના કારણે કોંગ્રેસી ઉમેદવાર હિમ્મતસિંહ માટે અહીં મોટા પડકારો છે. આપ પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે પડકારો ઉભા કરશે. તેવામાં બાપુનગર વિધાનસભા સીટ ખુબ જ રસપ્રદ બની રહેશે.
હિંમતસિંહથી કોંગ્રેસના જ નેતાઓ નારાજ
હિમ્મતસિંહ મુળ રાજસ્થાનના છે અને તે પોતે ગુર્જર સમુદાયના છે. આ ઉપરાંત તેઓ અશોક ગહલોતના નજીકના હોવાનું મનાય છે. તેના કારણે જ તેમને ટિકિટ મળી હતી. હિમ્મતસિંહ પટેલ અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે. જો કે ધારાસભ્ય તરીકેની તેમની કાર્યપદ્ધતીથી બાપુનગરના લોકો નારાજ છે. તેઓ ખુબ જ નિષ્ક્રિય હોવાનાં કારણે લોકોમાં તેમના પ્રત્યે રોષ છે. હિમ્મતસિંહના કારણે જ હાલમાં કોર્પોરેશન સ્તરે પણ અસંતોષ જોવા મળ્યો હતો. તેના કારણે દિનેશ શર્મા સહિત અનેક નેતાઓએ રાજીનામા આપી દીધા હતા. જો કે અશોક ગહલોત સાથે સારાસારી હોવાનાં કારણે તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ નહોતી.
ફરી હિંમતસિંહને ટીકિટ આપશે કોંગ્રેસ?
હાલમાં જ ગુજરાતના સીનિયર ઓબ્જર્વર તરીકે અશોક ગેહલોતની નિયુક્તિ થઇ છે જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તા અને જનતાના વિરોધ છતા પણ હિમ્મતસિંહને ફરી કોંગ્રેસ બાપુનગરમાંથી તક આપી શકે છે કારણ કે હાલમાં જ તેમની વિરુદ્ધ ફરિયાદો છતા પણ તેમને કોંગ્રેસે પ્રમોશન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં વર્કિંગ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. તેવામાં 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ બાપુનગરની સીટ બચાવવામાં સફળ થશે કે નહી તે તો આગામી સમય જ બતાવશે.
ADVERTISEMENT
