પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની મુશ્કેલી વધી! કથિત 400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં હાઈકોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી

ગુજરાત સરકારના મંત્રી અને ઈફ્કોના ચેરમેનને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાતનાં કથિત 400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ફોજદારી પ્રક્રિયામાંથી ડીસ્ચાર્જ કરવાની માંગણી કરતી દિલીપ સંઘાણી અને પરસોતમ સોલંકીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હવે આ બંને સામે કેસ સામે કાયદાકીય કાર્યવાહી થવાની પૂર્ણ સંભાવના છે. હવે બંને નેતાઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે.

દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકી

Fisheries Scam in Gujarat

follow google news

Fisheries Scam in Gujarat: ગુજરાત સરકારના મંત્રી અને ઈફ્કોના ચેરમેનને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાતનાં કથિત 400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ફોજદારી પ્રક્રિયામાંથી ડીસ્ચાર્જ કરવાની માંગણી કરતી દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હવે આ બંને સામે કેસ સામે કાયદાકીય કાર્યવાહી થવાની પૂર્ણ સંભાવના છે. હવે બંને નેતાઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે.

આરોપો પાયાવિહિન નથી : કોર્ટ

આ કેસમાં કોર્ટે એવી પણ નોંધ મૂકી હતી કે, 'બંને સામે મુકવામાં આવેલા આરોપો પાયાવિહિન નથી.' જસ્ટીસ હેમંત પ્રચ્છકે ડીસ્ચાર્જ અરજી ફગાવતા હવે પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર કેસમાં ટ્રાયલ ચલાવવાનો માર્ગ મોકળો થયો છે. કોર્ટે આરોપીઓની નિર્દોષ છૂટવાની વિનંતીઓ ફગાવી દીધી હતી. જોકે કોર્ટ દ્વારા ચાર અઠવાડિયાનો સ્ટે લંબાવવામાં આવ્યો છે, એટલે આરોપીઓને ચાર સપ્તાહની રાહત મળી છે.

2021માં નીચલી કોર્ટે ડીસ્ચાર્જ અરજી ફગાવી હતી

ગાંધીનગરની એન્ટી કોર્ટે 12 માર્ચ, 2021 ના રોજ દિલિપ સંઘાણી, પરસોત્તમ સોલંકી અને અરૂણ સુતરીયા સહિતના કુલ સાત આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. તમામે પોતાને નિર્દોષ સાબિત કરવાના પ્રયાસો કર્યા હતા, જે નિષ્ફળ નીવડ્યા હતા. ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે તેમને નિર્દોષ સાબિત કરવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ ત્રણ આરોપીઓએ  ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે પણ તેને ફગાવી હતી. તપાસ રીપોર્ટનાં આધારે નીચલી અદાલતે એમ કહ્યું હતું કે, આરોપીઓ સામે કેસ સાબિત થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે.

2018માં હાઈકોર્ટે કેસ રદ કરવાની અરજી ફગાવી હતી

પૂર્વ મંત્રીઓ સામે આરોપ દાખલ થયા બાદ અને ખાસ અદાલતે સમન્સ જારી કર્યા બાદ હાઈકોર્ટમાં વિવિધ કાનુની મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. 2018માં હાઈકોર્ટે સમન્સ અને ફોજદારી કેસ રદ કરવાની અરજી ફગાવી હતી અને ફરી વખત તેઓએ ડીસ્ચાર્જ અરજી કરી હતી.

આ કેસમાં બંને દિગ્ગજોની મુશ્કેલી વધવાની સંભાવના!

દિલિપ સંઘાણી હાલમાં ઈફ્કોમાં ચેરમેન છે. જ્યારે પરસોત્તમ સોલંકી હાલની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી છે. ફરિયાદ સમયે પરસોતમ સોલંકી ફીશરીઝ (મત્સત્યદ્યોગ)મંત્રી હતા. ત્યારે હવે હાઈકોર્ટે ડીસ્ચાર્જ અરજી ફગાવી દેતા બંને મંત્રીઓ સહિતના આરોપીઓની મુશ્કેલી વધવાની પૂર્ણ સંભાવના છે.

2008માં ફીશરીઝના કથિત કૌભાંડનો લાગ્યો હતો આરોપ

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં 58 તળાવોમાં કોઈ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના સરકારી જૂથોને માછીમારીનો કોન્ટ્રાક્ટ આપખુદીથી આપી દેવાનો આરોપ છે. જે આરોપ એક બિઝનેસમેન ઈશાક મરાડિયાએ પરસોતમ સોલંકી અને અન્યો સામે કર્યો હતો. આ કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને IPC કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.જેની ફરિયાદને આધારે નીચલી કોર્ટે પરસોતમ  સોલંકી, દિલીપ સંઘાણી અને પાંચ નિવૃત્ત અમલદારો સામે ગુનાહિત કાર્યવાહી આગળ ચલાવવાનો આદેશ જારી કર્યો હતો. 

આ કેસનાં ફરીયાદી ઈશાક મારડિયાએ ફીશરીઝ કોન્ટ્રાકટમાં ગેરરીતિનાં આરોપ સાથે હાઈકોર્ટમાં ઘા નાખવામાં આવી હતી. આ વખતે મંત્રી સામે ફોજદારી કેસ દાખલ કરવા માટે રાજ્યપાલની મંજૂરી મેળવવામાં પણ મારડીયાને લાંબી કાનુની લડાઈ લડવી પડી હતી. આખરે ફરિયાદીને આ કેસમાં ન્યાય મળ્યો છે. ઇશાક મરાડિયાને તત્કાલિન મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરવા માટે ભારે મહેનત કરવી પડી હતી. 

    follow whatsapp