ભાર્ગવી જોશી/ જુનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એવામાં હવે ભાજપ તથા AAPની સાથે કોંગ્રેસ પણ સક્રિય થઈ ગયું છે. કોંગ્રેસ દ્વારા જ જૂનાગઢમાં ‘બોલો સરકાર’ જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને 32 લક્ષણા કહી દીધા હતા અને તેમના પર કેટલાક ગંભીર આક્ષેપો મૂક્યા હતા.
ADVERTISEMENT
બિલ્કિસ બાનોના દોષિતોનું સ્વાગત કરનારને કહ્યા બેશરમ
કોંગ્રેસ મેનીફેસ્ટો માટે જૂનાગઢ આવેલા અર્જુન મોઢવાડીયાએ ‘બોલો સરકાર’ કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું કે, ભાજપ પ્રમુખ 32 લક્ષણા છે, 108 ગુના ધરાવતા પ્રમુખને મોદી સરકારે જ જેલમાં નાખ્યા અને હવે અધ્યક્ષ બનાવ્યા. આ ઉપરાંત તેમણે બિલ્કિસ બાનું કેસના ગુનેગારોને છોડી મૂકી તેમનું સ્વાગત કરતા લોકોને બેશરમ ગણાવ્યા. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, સગો ભાઈ હોય તો તેને પણ હું માફી ન આપુ અને અહીં તો છોડી મૂક્યા બાદ સ્વાગત કાર્યક્રમ યોજાયા. આ શરમ વગરની સરકાર છે.
સરકારના વલણથી લોકો ત્રસ્ત
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હવે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકારના વલણથી પ્રાઇવેટ સ્કૂલો, દવાખાના અને મોંઘવારી મુદ્દે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. અમારા સમયમાં અમે સરકારી સ્કૂલોમાં જ ભણ્યા અને એન્જિનિયર થયા એક રૂપિયા વગર ભણ્યા. આજે ફી ભરી ભરીને થાકે તો પણ ખર્ચ વધતા જાય છે નોકરી નથી મળતી. પ્રજા હવે કોંગ્રેસ પાસે આવીને કહે છે અમારી મદદ કરો. કોંગ્રેસ આ વખતે જીતી બતાવશે. ત્રીજો વિકલ્પ ક્યારેય ફાવ્યો નથી ફાવશે પણ નહીં. દિલ્હી ગુજરાત કરતા ખાબોચિયા સમાન છે.
ADVERTISEMENT
