‘Appleથી આવ્યું એલર્ટ, ફોન હૈક કરી રહી છે સરકાર’, મહુઆ, થરૂર, યેચૂરી અને ઔવેસીના દાવાથી ખળભળાટ!

Yogesh Gajjar

31 Oct 2023 (अपडेटेड: Oct 31 2023 6:57 AM)

Apple iPhone Alert News: TMC સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર અને પવન ખેડા સહિત ઘણા વિપક્ષી…

gujarattak
follow google news

Apple iPhone Alert News: TMC સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર અને પવન ખેડા સહિત ઘણા વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે તેઓને તેમના ફોન અને ઈમેલ પર Apple તરફથી ચેતવણીઓ મળી છે. આ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો

કેશ ફોર ક્વેરી કેસમાં ફસાયેલા TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સૌથી પહેલા Apple તરફથી મળેલા એલર્ટનો સ્ક્રીન શોટ શેર કરીને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મહુઆએ કહ્યું, મને APPLE તરફથી એલર્ટ અને ઈમેલ મળ્યો કે સરકાર મારો ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.

મહુઆ ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, પવન ખેડા અને શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તેમના ફોન પર આવા એલર્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. મહુઆએ દાવો કર્યો છે કે આ એલર્ટ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા, સપા પ્રમુખ અખિલેશ યાદવ, CPM મહાસચિવ સીતારામ યેચુરીના ફોન પર પણ આવ્યું છે. બીજી તરફ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ તેમના ફોન પર એલર્ટ મળ્યાનો દાવો કર્યો છે.

ગૃહ મંત્રાલયને ટેગ કરતાં મહુઆએ આગળ લખ્યું, અદાણી અને પીએમઓનાં લોકો, જે મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તમારા ડરથી મને તમારા પર દયા આવે છે. તેમણે કહ્યું કે, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, મને અને INDIA ગઠબંધનના અન્ય ત્રણ નેતાઓને અત્યાર સુધી આવા એલર્ટ મળ્યા છે. તેમણે આ એલર્ટના સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે.

શશિ થરૂરના ફોન પર પણ એલર્ટ મળ્યું

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ ટ્વીટ કર્યું કે, તેમને પણ એપલ તરફથી એલર્ટ મળ્યું છે. તેમણે કહ્યું કે, મારા જેવા કરદાતાઓના ખર્ચામાં અલ્પરોજગાર અધિકારીઓને વ્યસ્ત રાખવામાં ખુશી થઈ! તેમની પાસે આનાથી વધુ મહત્વનું કંઈ નથી?

શું છે કેશ ક્વેરી કેસ?

હકીકતમાં, તાજેતરમાં જ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે એક બિઝનેસમેન પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પીકર ઓમ બિરલાને મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોની તપાસ માટે એક સમિતિ બનાવવાની અપીલ કરી હતી.

આ પછી ઓમ બિરલાએ આ મામલો સંસદની એથિક્સ કમિટીને મોકલી દીધો હતો. નિશિકાંતે જય અનંત દેહાદરાય તરફથી મળેલા પત્રને ટાંકીને મોઇત્રા પર આ આરોપો લગાવ્યા હતા. નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઇત્રાના તાજેતરમાં લોકસભામાં પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી 50 અદાણી મુદ્દા પર કેન્દ્રિત હતા.

તે જ સમયે, મોઇત્રાએ આ સમગ્ર વિવાદ માટે નિશિકાંત દુબે અને તેના પૂર્વ મિત્ર જય અનંતને જવાબદાર ઠેરવ્યા હતા. 17 ઓક્ટોબરે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે આ આરોપો તેમની છબીને નુકસાન પહોંચાડવા માટે લગાવવામાં આવ્યા છે.

મહુઆ મોઇત્રાની અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ દુબે, દેહાદરાય અને કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસને તેમની વિરુદ્ધ કોઈપણ બનાવટી અને બદનક્ષીપૂર્ણ સામગ્રી પોસ્ટ, પ્રસારણ અથવા પ્રકાશિત કરવાથી રોકવા માટે નિર્દેશ જારી કરે. જોકે, મહુઆના વકીલો આ કેસમાંથી ખસી ગયા હતા. હવે આ કેસની સુનાવણી 31મી ઓક્ટોબરે થશે.

    follow whatsapp