નવી દિલ્હી: ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પણ કર્ણાટકના સીએમ હજુ સુધી ફાઇનલ થયા નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે બુધવારે આ મુદ્દે ફરી બેઠક કરશે અને ત્યાર બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મંગળવારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે પણ બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠક બાદ મુખ્યમંત્રીના નામ પર સર્વસંમતિ સધાઈ જશે. પરંતુ આવું ન થયું. આ પછી બુધવારે સવારે 11 વાગ્યે ખડગે ફરી એકવાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને મળશે.
ADVERTISEMENT
મંગળવારે મળેલી બેઠકમાંથી કેટલીક બાબતો બહાર આવી હતી. જો સૂત્રોનું માનીએ તો, ડીકે શિવકુમારે બેઠકમાં ખડગેને જણાવ્યું હતું કે, સિદ્ધારમૈયાનો અગાઉનો કાર્યકાળ કુશાસનથી ચિહ્નિત હતો. તે સમયે લિંગાયત સમુદાય સિદ્ધારમૈયા વિરુદ્ધ હતો. તેઓ અગાઉ પણ એક વખત સીએમ રહી ચૂક્યા છે, તો તેમને બીજી તકની શું જરૂર છે? આ સિવાય ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાને 2019માં JDS સાથે ગઠબંધન તૂટવાનું કારણ પણ બતાવ્યા.
‘આ મારા સીએમ બનવાનો સમય’
ડીકે શિવકુમારે આ દરમિયાન એમ પણ કહ્યું કે, આ મારો મુખ્યમંત્રી બનવાનો સમય છે અને હાઈકમાન્ડે મારી પસંદગી કરવી જોઈએ. મેં 2019માં પતનથી પાર્ટીનું પુનઃનિર્માણ કર્યું અને હવે આપણને જીત મળી.
ઉતાવળમાં નિર્ણય લેવા નથી માગતા ખડગે
જોકે, પાર્ટીના કેટલાક અન્ય સૂત્રોનું કહેવું છે કે રાહુલ અને સોનિયા બંને કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે મલ્લિકાર્જુન ખડગેના નિર્ણયને અનુસરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય હજુ થોડા દિવસો માટે વિલંબિત થઈ શકે છે. કોંગ્રેસ પણ આ માટે રાહ જોવા તૈયાર છે. કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ખડગે કર્ણાટકના નેતાઓને મળશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ કોઈપણ ઉતાવળમાં સીએમના નામની જાહેરાત કરવા માંગતી નથી. મલ્લિકાર્જુન ખડગે સીએમની ખુરશી કોઈને સોંપતા પહેલા કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મળશે. તે ઘણા નેતાઓ સાથે ચર્ચા કરશે અને તેમનો અભિપ્રાય લેશે.
સિદ્ધારમૈયાના પક્ષમાં રાહુલ ગાંધી
જણાવી દઈએ કે આ બંને નેતાઓની પસંદગીને લઈને પાર્ટી લીડર્સમાં અલગ-અલગ મત છે. સૂત્રો મુજબ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલે સિદ્ધારમૈયાને સમર્થન કર્યું છે. તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કોઈ એક નિર્ણય પર નથી પહોંચી રહ્યા. તે બધા નેતાઓ સાથે વાત કરીને એક નામ પર પહોંચશે. સાથે જ સોનિયા ગાંધીના ડીકે શિવકુમાર સાથે સારા સંબંધો છે. તો મોટાભાગના ધારાસભ્યો સિદ્ધારમૈયા સાથે હોવાનું માનવામાં આવે છે. આ સિવાય રણદીપ સુરજેવાલા પણ બંને નેતાઓ અંગે તટસ્થ છે.
સીએમ પદના ત્રીજા દાવેદાર
આ બંને સિવાય કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી પરમેશ્વરએ પણ પોતાને સીએમ બનાવવાની માંગ કરી છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે જો પાર્ટી હાઈકમાન્ડે તેમને સરકાર ચલાવવાનું કહ્યું તો તેઓ જવાબદારી લેવા તૈયાર છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, હાઈકમાન્ડ તેમની પાર્ટી પ્રત્યેની સેવાથી વાકેફ છે અને તેમને પદ માટે લોબિંગ કરવાની જરૂર નથી લાગતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી પરેશ્વરે કહ્યું કે, “જો હાઈકમાન્ડ નિર્ણય કરે અને મને સરકાર ચલાવવાનું કહે તો હું જવાબદારી લેવા તૈયાર છું.”
તેમણે કહ્યું, ‘મને પાર્ટી હાઈકમાન્ડમાં વિશ્વાસ છે. મારી પાસે કેટલાક સિદ્ધાંતો છે. હું લગભગ 50 ધારાસભ્યોને પણ લઈ જઈ શકું છું અને સૂત્રોચ્ચાર કરી શકું છું, પરંતુ મારા માટે પાર્ટી શિસ્ત મહત્વપૂર્ણ છે. મેં કહ્યું છે કે હાઈકમાન્ડ મને જવાબદારી આપશે તો હું નિભાવીશ.
પરેશ્વરે કહ્યું, “હાઈકમાન્ડ જાણે છે કે મેં પાર્ટી માટે કામ કર્યું છે, 8 વર્ષ સુધી (KPCC પ્રમુખ તરીકે) સેવા આપી છે અને તેને સત્તામાં લાવી છે (2013 માં). આ સિવાય મેં નાયબ મુખ્યમંત્રી તરીકે પણ કામ કર્યું છે. તેઓ બધું જાણે છે. અમારી પાસે કહેવા માટે કંઈ નવું નથી. તેથી મને લાગે છે કે મારા માટે પદ માંગવાની અથવા તેના માટે લોબી કરવાની કોઈ જરૂર નથી અને હું ચૂપ છું. એનો અર્થ એ નથી કે હું અસમર્થ છું, હું સક્ષમ છું અને તક મળશે તો કામ કરીશ.
કર્ણાટકના સીએમને લઈને ડ્રામા ચાલુ છે
આપને જણાવી દઈએ કે 224 સભ્યોની કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ 135 સીટો જીતીને સત્તામાં આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે સત્તાનો જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે કે કોણ સરકારનું નેતૃત્વ કરશે. બંને નેતાઓ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે સરકારની રચના અને આગામી મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવા દિલ્હીમાં છે.
ADVERTISEMENT
