Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિપક્ષે દાવો કર્યો છે કે ચારેય પીઠના શંકરાચાર્યો કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે. આ વચ્ચે તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા કાંચી કામાકોટી મઠના શંકરાચાર્યએ શુક્રવારે એલાન કર્યું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કાશીની યજ્ઞશાળામાં 40 દિવસ સુધી વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવશે. આ પૂજા 22 જાન્યુઆરીએ કાર્યક્રમ સાથે શરૂ થશે અને આગામી 40 દિવસ સુધી ચાલશે.
100થી વધારે પૂજારી કરશે પૂજા
શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીએ કહ્યું કે, ‘ભગવાન રામના આશીર્વાદથી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલાની પ્રાણપ્રતિષ્ઠા થશે. જેને લઈને અમારી કાશી ખાતે આવેલી યજ્ઞશાળામાં 40 દિવસની વિશેષ પૂજા કરવામાં આવશે, જે રામ મંદિરના કાર્યક્રમની સાથે શરૂ થશે. પૂજા વૈદિક વિદ્વાનોના માર્ગદર્શનમાં થશે, તેમાં લક્ષ્મીકાંત દીક્ષિત પણ સામેલ છે. 100થી વધારે પૂજારીઓ આ દરમિયાન પૂજા અને હવન કરશે. પીએમ મોદી દેશભરમાં તીર્થસ્થળોના વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો વિસ્તાર થયો છે.’
હિન્દુ ધર્મમાં શંકરાચાર્યોનું ખૂબ સન્માન
માન્યતાઓ અનુસાર, શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ ધર્મગુરુનું સ્થાન છે. હિન્દુ ધર્મમાં શંકરાચાર્યોનું ખૂબ સન્માન છે. આદિ શંકરાચાર્યએ હિન્દુ ધર્મના પ્રચાર માટે દેશમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ ચાર મઠ છે શ્રૃંગેરી મઠ કર્ણાટક, જેના શંકરાચાર્ય શંકરાચાર્ય ભારતતીર્થ મહારાજ, ગોવર્ધન મઠ ઓડિશાના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ, શારદા મઠ દ્વારકા ગુજરાત શંકરાચાર્ય સદાનંદ મહારાજ, જ્યોતિર્મથ બદરિકા ઉત્તરાખંડ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ.
વિપક્ષના દાવા વચ્ચે શંકરાચાર્યની મોટી જાહેરાત
શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીએ પૂજાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિરોધ પક્ષો દાવો કરી રહ્યા છે કે ચારેય પીઠોના શંકરાચાર્ય અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા પર નારાજ છે અને આ કારણથી તેઓએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે.
