ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત, ભારતમાં અનેક હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ

Lakhbir Singh Rode: ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો…

gujarattak
follow google news

Lakhbir Singh Rode: ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો પ્રમુખ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં મોત થયું છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.

ભિંડરાવાલેનો ભત્રીજો હતો લખબીર સિંહ

લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેનો ભત્રીજો હતો અને તે ભારતના આતંકવાદીઓની લિસ્ટમાં સામેલ હતો. લખબીર સિંહ રોડેના ભાઈ જસબીર સિંહ રોડેએ લખબીરના મોતની પુષ્ટિ કરી છે. જસબીર સિંહે કહ્યું કે, મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે લખબીરનું પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી મોત થયું છે અને તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા છે. તે ડાયાબિટીસથી પીડિત હતો. લખબીર સિંહ રોડેના બે દીકરા, એક દીકરી અને પત્ની કેનેડામાં રહે છે.

ભારતથી ભાગીને પહોંચ્યો હતો પાકિસ્તાન

લખબીર સિંહ રોડે ભારતના પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો અને તે ભારતથી દુબઈ ભાગી ગયો હતો. બાદમાં તે દુબઈથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો, પરંતુ તેણે તેના પરિવારને કેનેડામાં રાખ્યો હતો. વર્ષ 2002માં ભારતે 20 આતંકવાદીઓને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને એક યાદી પણ સોંપી હતી, જેમાં લખબીર સિંહ રોડેનું નામ પણ હતું.

રોડે પર છે અનેક આરોપો

ભારત સરકારના ડોઝિયર મુજબ, લખબીર સિંહ રોડેના ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશને બ્રિટન, જર્મની, કેનેડા અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ તેની શાખાઓ શરૂ કરી હતી. રોડે પર ગેરકાયદેસર રીતે ભારતમાં હથિયારો અને વિસ્ફોટકો મોકલવાનો પણ આરોપ છે.

    follow whatsapp