Ujjain Mahakaleshwar Mandir Fire Incident: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે 13 લોકો દાઝી ગયા છે. કહેવાય છે કે ભસ્મ આરતી દરમિયાન હોળી રમતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તો આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
ADVERTISEMENT
અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ
અમિત શાહે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, આજે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આગ લાગવાની દુર્ઘટના અંગે સીએમ મોહન યોદવ સાથે વાત કરીને જાણકારી મેળવી છે. સ્થાનિક પ્રશાસન ઈજાગ્રસ્તોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય.
ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર
ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું કે, આજે સવારે ભસ્મ આરતી દરમિયાન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહની અંદર આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં પૂજારી સહિત 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
મોટી સંખ્યામાં પહોંચ્યા હતા લોકો
આગની ઘટના પર મંદિરના પૂજારીએ જણાવ્યું કે આજે પણ દરરોજની જેમ ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી રહી હતી. લોકો હોળી રમી રહ્યા હતા. એવી શક્યતા છે કે જ્યારે કપૂર આરતી થઈ રહી હતી ત્યારે કેમિકલયુક્ત ગુલાલ કપૂર આરતીમાં પડી ગયો હતો, જેના કારણે આગ લાગી હતી. આ દરમિયાન આરતી નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
હું વહીવટીતંત્રના સંપર્કમાં છુંઃ મોહન યાદવ
સીએમ મોહન યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું કે આજે સવારે બાબા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ઘટેલી દુર્ઘટના દુઃખદ છે. હું સવારથી વહીવટીતંત્રના સંપર્કમાં છું. તેમણે કહ્યું કે બધું નિયંત્રણમાં છે. બાબા મહાકાલને પ્રાર્થના છે કે તમામ ઈજાગ્રસ્તો જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.
ADVERTISEMENT