હાથકડી સાથે ભાગ્યો અને તળાવમાં ડૂબ્યો... આસામમાં ગેંગરેપના આરોપીના મોતની સમગ્ર કહાની, હવે ઉઠ્યા સવાલ

આસામના નાગાંવ જિલ્લાના ધીંગમાં ગેંગરેપનો મુખ્ય આરોપી તફ્કઝુલ ઇસ્લામ પોલીસ કસ્ટડીમાંથી હાથકડી સાથે ભાગી ગયો અને તળાવમાં કૂદ્યો જેના કારણે તેનું ડુબી જતા મોત થયું. પોલીસ આરોપીને સવારે 4 વાગ્યે ક્રાઇમ સીન પર લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની.

આસામ ગેંગરેપના મુખ્ય આરોપીનું મોત

Assam Gang Rape Case Accused Death

follow google news

Assam Gang Rape Case Accused Death : આસામના નાગાંવ જિલ્લાના ધીંગમાં ગેંગરેપનો મુખ્ય આરોપી તફ્કઝુલ ઇસ્લામ પોલીસ કસ્ટડીમાંથી હાથકડી સાથે ભાગી ગયો અને તળાવમાં કૂદ્યો જેના કારણે તેનું ડુબી જતા મોત થયું. પોલીસ આરોપીને સવારે 4 વાગ્યે ક્રાઇમ સીન પર લઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની. આ ઘટના બાદ સવાલ ઉઠી રહ્યા છે કે, ગેંગરેપનો આ આરોપી ડૂબીને મૃત્યુ પામ્યો કે પછી ડૂબાડી દેવાયો. કારણ કે જ્યારે આરોપી ડૂબ્યો ત્યારે પોલીસ તેની સાથે હતી. તેની સુરક્ષાની જવાબદારી પોલીસની હતી, પરંતુ પોલીસ કહી રહી છે કે ભાગવાનો પ્રયાસ કર્યો અને તળાવમાં ડૂબીને મરી ગયો.

ગઈકાલે શું બોલ્યા હતા આસામના મુખ્યમંત્રી?

આટલા મોટા કાંડના આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું તે આશ્ચર્યજનક છે. બંને મોટા પક્ષોના નેતાઓથી લઈને સ્થાનિક લોકો આ મૃત્યુ પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતાએ એક દિવસ પહેલા જ એટલે કે 23 ઓગસ્ટે કહ્યું હતું કે, સરકાર આવા કેસમાં અગ્રેસિવ રહેવું જોઈએ. તેમના આ નિવેદનના 24 કલાકમાં જ આ ઘટના બની ગઈ.

આસામના સીએમ હિમંતાએ ગઈકાલે ન્યાયની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. તે જ સમયે, સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ કેસમાં આજે કહ્યું કે એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને તે તળાવમાં ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો. જો આપણે આ ઘટનાને કોલકાતાની ઘટના સાથે સરખાવીએ તો અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જ્યારે પણ આસામમાં કોઈ ઘટના બને છે ત્યારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે અને ગુનેગારની ધરપકડ કરે છે. આવી ઘટનાઓમાં અમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીએ છીએ.

આરોપીના મોત બાદ ઉઠ્યા આ સવાલ

ડૂબવાથી અથવા ડૂબાડી દેવાની થ્યોરી આસામમાં ખુબ ચર્ચાઈ રહી છે, પરંતુ સવાલ ઉઠાવવાની હિમ્મત કોઈ કરી રહ્યું નથી. પોલીસની કસ્ટડીમાં હાથમાં હથકડી હતી, પરંતુ તે તળાવમાં કૂદી ગયો. તેવામાં સવાલ પોલીસને લઈને પણ છે કે શું પોલીસ સતર્ક ન હતી? પોલીસ તેને સવારે 4 વાગ્યે લઈને શા માટે જઈ રહી હતી? હાથમાં હથકડી હતી તો પાણીમાં કેવી રીતે કૂદ્યો? જો પાણીમાં કૂદ્યો તો પોલીસવાળાએ તરત પાણીમાં કૂદીને તેનો જીવ કેમ ન બચાવ્યો? આરોપી રાજ્યના એક ચર્ચિત ગેંગરેપ કાંડનો મુખ્ય આરોપી હતી. તેને સજા અપાવવાની પોલીસની ફરજ હતી.

ઘટના અંગે પોલીસે શું કહ્યું?

આ ઘટનામાં નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ જણાવ્યું કે 22 ઓગસ્ટે એક સગીર સાથે ત્રણ આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇનપુટના આધારે અમે ત્રણ લોકોની ઓળખ કરી હતી. અમે ગઈકાલે આમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી શકાય તે માટે રાત્રે 11 વાગ્યાના સુમારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

આ દરમિયાન આરોપીને પોલીસની ગાડીમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો. એ જગ્યા બહુ સાંકડી હતી. આરોપી કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ તેણે કોન્સ્ટેબલ પાસેથી હાથકડીની દોરી ખેંચી લીધી અને હાથકડી સાથે તળાવમાં કૂદી ગયો. અમે તેને બચાવવાનો તમામ પ્રયાસ કર્યો, પરંતુ અંધકારને કારણે અમે તેને તરત બચાવી શક્યા નહીં.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, SP સ્વપ્નિલ ડેકાએ કહ્યું કે, આ ઘટના પછી તરત જ અમે SDRF ટીમને બોલાવી. અમને સવારે આરોપીનો મૃતદેહ મળ્યો. તેમણે કહ્યું કે ગેંગરેપના અન્ય બે આરોપી હજુ પણ ફરાર છે અને અમે તેને શોધી રહ્યા છીએ. આશા છે કે અમે તેને જલ્દી પકડી લઈશું.

શું હતો મામલો?

તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે ત્રણ લોકોએ એક સગીર સાથે ગેંગરેપ કર્યો હતો. પીડિતા તેની સાયકલ પર ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ તેને ઘેરી લીધો. સ્થાનિક લોકો પોલીસને જાણ કરે તે પહેલા આરોપી તેને ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં તળાવ પાસે રોડ કિનારે મૂકીને ભાગી ગયો હતો.

આરોપીના જનાઝામાં ન જવાનો ગ્રામજનોનો નિર્ણય

દરમિયાન, પીટીઆઈના જણાવ્યા અનુસાર, ગ્રામજનોએ શનિવારે સવારે એક બેઠક યોજી હતી અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગુના અંગે ત્રણ નિર્ણયો લીધા હતા. ગામના એક વડીલ મોહમ્મદ શાહજહાંએ કહ્યું કે અમે આરોપીને ગામના કબ્રસ્તાનમાં દફનાવવા નહીં દઈએ, તેના જનાઝામાં હાજરી નહીં આપવાનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામડાના યુવકના ગુનાએ અમને શરમમાં મૂકી દીધા છે અને અમે તેને સામુદાયિક કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી આપી શકીએ નહીં. ઘટનાના વિરોધમાં ગામની મસ્જિદથી એક કૂચ પણ કાઢવામાં આવી હતી.'

TMCએ ઉઠાવ્યા સવાલ

ત્યારે તૃણમૂલ કોંગ્રેસે ગેંગ રેપના આરોપીના કસ્ટોડિયલ ડેથ પર સવાલ ઉઠાવીને આસામની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે એવા પણ આરોપો છે કે સગીર પર સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી તફ્કઝુલ ઈસ્લામના રાજકીય સંબંધો હતા. તેણે ટ્વીટ કર્યું કે આસામમાં સામૂહિક બળાત્કારની ઘટના બની. ગુનેગારો પર રાજકીય સમર્થનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં માત્ર એક જ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ આરોપીને પોલીસ તપાસ માટે ગુનાના સ્થળે લઈ જતી વખતે મૃત્યુ પામ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કથિત રીતે ટોચના અધિકારીઓના બાકીના નામ અને ઓળખ છુપાવવા માટેનું ઓપરેશન હતું અને પૂછ્યું હતું કે શું તમામ ફરિયાદોની તપાસ થશે અને ન્યાય મળશે? કે પછી પોલીસ કસ્ટડીમાં મૃત્યુનો અંત છે?

 

    follow whatsapp