Chhattisgarh Durg Bus Accident: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
ગઈકાલે રાતે 8.30 વાગ્યે સર્જાયો હતો અકસ્માત
પોલીસ અધિક્ષક (છાવણી વિસ્તાર) હરીશ પાટીલે જણાવ્યું કે, આ અકસ્માત કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ પાસે રાત્રે લગભગ 8.30 વાગ્યે સર્જાયો હતો. દુર્ગ જિલ્લાના એસપી જિતેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે મંગળવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ડિસ્ટિલરી કંપનીમાં કામ કરતા કામદારો શિફ્ટ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બસ અચાનક ખીણમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુ થયા છે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કામદારોને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસમાં સવાર હતા 40 લોકો
ન્યૂઝ એજન્સી અનુસાર, એસપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 40 લોકોથી ભરેલી બસ અનિંયત્રિત થઈને 40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
ઈજાગ્રસ્તો રાયપુર અને ભિલાઈની હોસ્પિટલમાં દાખલ
એસપીના જણાવ્યા અનુસાર, માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની રાયપુર અને ભિલાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે 'છત્તીસગઢના દુર્ગમાં સર્જાયેલી બસ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ સાથે હું ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.'
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
ADVERTISEMENT