- કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી માટે સારા સમાચાર
- મુખ્ય પૂજારીને હવે દર મહિને 90 હજાર રૂપિયા પગાર
- કનિષ્ઠ પૂજારીને 80 હજાર અને સહાયક પૂજારને 65 હજાર પગાર
Varanasi News: કાશી વિશ્વનાથ મંદિરમાં કામ કરનારા પૂજારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મંદિરના મુખ્ય પૂજારીને હવે દર મહિને 90 હજાર રૂપિયા પગાર મળશે. આ સિવાય કનિષ્ઠ પૂજારીને 80 હજાર રૂપિયા અને સહાયક પૂજારીને 65 રૂપિયાનો પગાર આપવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 105મી બેઠકમા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના પૂજારી, કર્મચારી અને સેવકોની નિમણૂક માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. 40 વર્ષ પછી બનાવવામાં આવેલા આ નિયમો દેશભરના મંદિરો અને ટ્રસ્ટ માટે ઉદાહરણ છે.
પૂજારીઓની કરવામાં આવશે ભરતી
કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 105મી બેઠક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પ્રોફેસર નાગેન્દ્ર પાંડેની અધ્યક્ષતામાં મંદિરના ટ્રસ્ટી શ્રી વેંકટ રમણ ઘનપથી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારીઓની કુલ 50 જગ્યાઓ હશે. તેની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવશે.
ફ્રીમાં પુસ્તકો અને ગણવેશ અપાશે
બનારસની તમામ સંસ્કૃત સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં સ્કૂલ ડ્રેસ (ગણવેશ) અને પુસ્તકો આપવામાં આવશે. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીને ગ્રાન્ટ આપવામાં આવશે. બેઠકમાં હાજર રહેલા ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ સંસ્કૃત શાળાઓમાં ધોરણ 6થી 12 સુધીના બાળકોને ફ્રીમાં પુસ્તકો અને ગણવેશ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તરત જ સ્વીકારવામાં આવ્યો હતો.
ઘાટ અને સ્ટેશનો પર રહેતા લોકોને બાબાનો પ્રસાદ મળશે
આ સિવાય બનારસના સ્ટેશન, ઘાટો પર રહેતા લોકોને દરરોજ બાબા વિશ્વનાથનો પ્રસાદ આપવાનો પ્રસ્તાવ મુકાયો. ટ્રસ્ટની બેઠકમાં ડીએમ એસ રાજ લિંગમ, કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટી પ્રોફેસર ચંદ્રમૌલી ઉપાધ્યાય, પ્રોફેસર બ્રિજ ભૂષણ ઓઝા, પંડિત દીપક માલવિયા સહિત ઘણા લોકો હાજર હતા.
