અમદાવાદ: ગુજરાત રમખાણો અંગેના એક કેસમાં ધરપકડ કરવામાં આવેલા એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડના (Teesta Setalvad Case) જામીન મંજૂર થયા બાદ આજે સાંજે તેઓ અમદાવાદ મહિલા જેલમાંથી બહાર આવ્યા હતા. 25 જૂને મુંબઈમાંથી તીસ્તા સેતલવાડની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 71 દિવસ જેલમાં વિતાવ્યા બાદ આખરે તીસ્તા સેતલવાડ હવે બહાર આવ્યા છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે મંજૂર કરી હતી જામીન અરજી
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી તીસ્તાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. શુક્રવારે ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચ દ્વારા આ અંગે સુનાવણી કરતા સરકારની ઝાટકણી કાઢી હતી. 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં યુયુ લલિતે જણાવ્યું કે, તીસ્તાની ધરપકડ બાદ રિમાન્ડ કે કસ્ટડીમાં કેટલા દિવસથી હતા. તેઓને હવે જેલમાં રાખી શકાશે નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, તિસ્તા કેસ જ્યાં સુધી હાઇકોર્ટમાં છે ત્યાં સુધી તેમણે પાસપોર્ટ સરેન્ડર રાખવો પડશે. તીસ્તાને અમે જામીન આપીએ છીએ કે, તેઓ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમાંથી બહાર આવી શકશે.
25 જૂને મુંબઈથી તીસ્તા સેતલવાડની ધરપકડ કરાઈ હતી
નોંધનીય છે કે, 25 જુને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા સેતલવાડની મુંબઇથી ધરપકડ કરવામાં આવી હતી. 30 જુલાઇએ નીચલી કોર્ટે તેના જામીન ફગાવ્યા હતા. જો કે આ મુદ્દો હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં ગાજ્યો હતો. જેની સુનાવણી કરતા સુપ્રીમે સરકારને પુછ્યું હતું કે, અતિગંભીર કિસ્સાઓમાં પણ જામીન મળી જતા હોય છે. આ કિસ્સામાં કયા આધારે સરકાર વિરોધ કરે છે. સરકાર પાસે એવો કોઇ મજબુત આધાર પુરાવો ન હોય તો પછી સુપ્રીમ કોર્ટ કેમ જામીન ન મંજૂર કરે તે સરકારી વકીલ જણાવે.
સરકાર દ્વારા સેતલવાડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
30 ઓગસ્ટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને તીસ્તાના જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે તીસ્તા વિરુદ્ધની ફરિયાદ માત્ર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત નથી પરંતુ તેને પુરાવાનું પણ સમર્થન છે. અત્યાર સુધી તપાસમાં ફરિયાદ સાચી ઠેરવવા માટે તમામ સામગ્રી રેકોર્ડમાં લેવાઇ હતી. અરજદારે રાજકીય, નાણાકીય અને અન્ય ભૌતિક લાભ પ્રાપ્ત કરવા માટે અન્ય આરોપીઓની સાથે ગુનાહિત કૃત્યો આચર્યા છે.
ADVERTISEMENT
