રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ વચ્ચે ભારત વિશે કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો શું કહ્યું

Niket Sanghani

• 12:16 PM • 21 Feb 2023

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધન કર્યું હતું. રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના…

gujarattak
follow google news

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધન કર્યું હતું. રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યું કે સતત નાઝી ધમકીઓ સામે લડી રહેલું રશિયા યુક્રેનમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ ચલાવી રહ્યું છે. પુતિને તેમના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને વેપારમાં વધારો કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો

તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે જેવા દેશોના વેપારને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC) ના વિસ્તરણની પણ જાહેરાત કરી. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા વિદેશી આર્થિક સંબંધોને વિસ્તૃત કરશે અને એક નવો લોજિસ્ટિક કોરિડોર બનાવશે. તેમણે કહ્યું કે તેઓ ભારત, ઈરાન, ચીન, પાકિસ્તાન જેવા દેશો સાથે આર્થિક સંબંધો વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરશે. પુતિ ને, ભારત-પેસિફિક ક્ષેત્ર પર ભાર મૂકતા કહ્યું, ‘અમે ભારત, ઈરાન, પાકિસ્તાન સાથે સહયોગ વધારવાની આશા રાખીએ છીએ. અમે ભારત સાથેના અમારા વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે નોર્થ-સાઉથ કોરિડોર (INSTC) બનાવવાનું કામ ચાલુ રાખીશું.

રેલવેનું આધુનિકીકરણની કરી વાત
તેમની યોજના વિશે વાત કરતા પુતિને વધુમાં કહ્યું કે, ‘રેલવેનું આધુનિકીકરણ અને ઉત્તરીય શિપિંગ રૂટમાં સુધારો પણ અમારી યોજનાનો એક ભાગ છે. અમે બ્લેક અને એઝોવ સી રૂટના બંદરો, ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરીશું અને ઉત્તરીય સમુદ્ર માર્ગની ક્ષમતાઓમાં વધારો કરીશું. આનાથી ચીન, ભારત, ઈરાન અને અન્ય મિત્ર દેશો સાથે સહયોગ વિસ્તરશે અને ગાઢ બનશે.

પશ્ચિમી દેશો પર પુતિને સાધ્યુ નિશાન
અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને રશિયા સામે તમામ પ્રકારના આધુનિક હથિયારો આપી રહ્યા છે. જેના કારણે તે હજુ પણ રશિયાનો સામનો કરી રહ્યું છે. યુક્રેનને પશ્ચિમી દેશોની મદદ પર નિશાન સાધતા પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોએ યુક્રેનમાં એ જ રમત રમી છે જે ઈરાક અને સીરિયા સાથે રમી હતી. પુતિને કહ્યું કે યુક્રેનના ડોનબાસ ક્ષેત્રના લોકો રશિયા આવે અને તેમની મદદ કરે તેની રાહ જોઈ રહ્યા હતા. રશિયાએ પણ શાંતિપૂર્ણ રીતે ડોનબાસની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ પશ્ચિમી દેશોએ રમત રમી અને રશિયાએ તેનું ‘સ્પેશિયલ ઓપરેશન’ શરૂ કરવું પડ્યું. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને વાતચીત દ્વારા ઉકેલવાની પશ્ચિમી દેશોની અપીલને પણ ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું કે શાંતિ પુનઃસ્થાપિત કરવાની પશ્ચિમી દેશોની વાતો ખોટી છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહના હાલ થશે ઇન્દિરા ગાંધી જેવા? ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે જાણો શું આપી ધમકી

INSTC શું છે?
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર, INSTC એટલે કે ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર ભારત અને રશિયા વચ્ચે માલસામાન પરિવહનનો ખર્ચ અને સમય બચાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, આ કોરિડોર હેઠળ ભારત અને રશિયા વચ્ચેના પરિવહન ખર્ચમાં લગભગ 30 ટકાનો ઘટાડો કરવા અને દરિયાઈ, રેલ અને રોડનો ઉપયોગ કરીને સમય 40 દિવસથી ઘટાડીને લગભગ અડધો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. INSTC એ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની હેરફેર માટે 7,200 કિલોમીટર લાંબો પરિવહન પ્રોજેક્ટ છે. આ કોરિડોરનો પાયો રશિયા, ઈરાન અને ભારતે મળીને 12 સપ્ટેમ્બર, 2000ના રોજ નાખ્યો હતો. પુતિન હવે આ કોરિડોરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો સાથે તેમના સહયોગને વધુ મજબૂત કરવા માંગે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો… 

    follow whatsapp