Rajkot News: ખુશીના પ્રસંગે ઘણીવાર એવા પ્રસંગો બની જતા હોય, જેની લોકોએ ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. આખો પરિવાર લગ્નની ખુશી મનાવી રહ્યો હતો, ઘરે આવેલી નવપરણીતાને આવકારવામાં પરિવારજનો મશગૂલ હતા. લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા, ઘરમાં સગા સંબંધીઓ બેઠા હતા. સૌના મનમાં ખુશીઓ હતી. આ દરમિયાન વરરાજાનું અકસ્માતમાં અવસાન થતાં પરિવારની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ. જે ઘરમાં શરણાઈ વાગી રહી હતી, તે જ ઘરમાં માતમ છવાઈ ગયો હતો.
ADVERTISEMENT
27મી ફેબ્રુઆરીએ હતા લગ્ન
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના એસઆરપી કેમ્પ પાસે આવેલી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને SRP ગ્રુપ-13માં PSI તરીકે ફરજ બજાવીને નિવૃત થયેલા હરદેવસિંહ વાળાના દીકરા રવિરાજસિંહના લગ્ન તેમના વતન વાલાસણ ગામ ખાતે રાખવામાં આવ્યા હતા. ગત 27મી ફેબ્રુઆરીએ વરરાજા રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું હતું. જે બાદ તેઓ ફેરા ફરવા ચોરીમાં પહોંચ્યા હતા અને લગ્નના તાતણે બંધાયા હતા.
ફેરા ફર્યા બાદ મિત્રો સાથે ગયા હતા નાસ્તો કરવા
જે બાદ રવિરાજસિંહ લગ્ન કરીને દુલ્હન સાથે ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેમના મિત્ર અને સગા સંબંધીઓએ રવિરાજસિંહને નાસ્તો કરવા જવા માટે કહ્યું હતું. જોકે, આ માટે રવિરાજસિંહે ચોખ્ખી ના પાડી હતી, તો પણ મિત્રો-સંબંધીઓ ફોર્સ કરીને તેમને નાસ્તો કરવા લઈ ગયા હતા.
રસ્તામાં અકસ્માતમાં મોત
આ દરમિયાન રવિરાજસિંહ વાલાસણથી પાનેલી તરફ નાસ્તો કરવા જઈ રહ્યા હતા. ત્યારે વાલાસણ-પાનેલી વચ્ચે કાર આગળ પશુ આવી જતા તેમની કાર પલટી મારી ગઈ હતી. જેમાં વરરાજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા અન્ય ચાર વ્યક્તિઓને કઈ થયું નહોતું. આ બનાવની જાણ થતાં જ પરિવારમાં ઘેરો શોક અને માતમ છવાયો હતો.
ADVERTISEMENT
