Rajkot News: રાજકોટમાં ગરીબોના હકના આવાસમાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના સંત કબીર રોડ પર બનાવવામાં આવેલા ગોકુલ નગર આવાસમાં ભાજપના બે મહિલા કોર્પોરેટના પતિએ કૌભાંડ આચર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌંભાંડ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકોટ મેયરે તપાસના આદેશ આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, 'કોઈ લાભાર્થી સાથે અન્યાય નહીં થવા દઈએ, સમગ્ર મામલે તપાસનો રિપોર્ટ અમે સરકારને સોપીશું.'
ADVERTISEMENT

ગરીબોના હકના ફ્લેટ પચાવી પાડ્યાનો આક્ષેપ
શહેરના સંત કબીર રોડ પર ગોકુલ નગર આવાસ બનાવવામાં આવ્યા છે. જેનો એક દિવસ પહેલા ડ્રો થયો હતો. જે બાદ કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે ગરીબોના હકના 20 ફ્લેટ પોતાના અને સગા વ્હાલાઓને નામે મેળવી લીધા હોવાનો આક્ષેપ થતાં રાજકોટમાં મોટો હડકંપ મચી ગયો છે.

અમે પૈસાવાળા નથી એટલે ભર્યું હતું ફોર્મઃ મનસુખ જાદવ
ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા લોકો માટે આવાસ બનાવાયા હતા. જેમાંથી 20 ફ્લેટ 2 કોર્પોરેટરના પતિએ સેટિંગ કરીને પચાવી લીધા હોવાનો આક્ષેપ થતાં બંનેનું નિવેદન પણ સામે આવ્યું છે. મહિલા કોર્પોરેટરના પતિ મનસુખભાઈ જાદવે જણાવ્યું કે, અમારા મકાન ત્યાં છે એટલે અમને આવાસ મળ્યા છે. ડોક્યુમેન્ટનાં આધારે અમને આવાસ મળ્યા છે. હું 50 વારના મકાનમાં રહ્યુ છું એટલે આવાસ મળ્યો છે. અમે કોઈ બંગલા વાળા અને પૈસા વાળા નથી એટલે અમે ફોર્મ ભર્યું છે. અમારા સગા વ્હાલા ત્યાં રહે છે એટલા માટે એમને આવાસ મળ્યા છે.
મારા સગા વ્હાલા ત્યાંજ રહે છેઃ કવા ગોલતર
તો ગોકુલનગર આવાસ યોજના કૌભાંડ મામલે કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતરે જણાવ્યું કે, જે લોકોને આવાસ આપવાના છે તે લોકો ત્યાં રહે છે, આવાસનો ડ્રો થઈ ગયો છે ફાળવણી હજી બાકી છે. મારા સગા વ્હાલાને આવાસ મળ્યા છે તેઓ ત્યાં રહે છે એટલે તેઓને આવાસ મળ્યા છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT
