દેશનો પ્રથમ ફોસીલ પાર્ક બન્યો તે રૈયોલી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, જાણો કેમ?

વીરેન જોશી/મહિસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામ ખાતે વિશ્વના ત્રીજા નંબરનો અને ભારત દેશના પ્રથમ નંબરનો ડાયનાસોર ફોસીલ પાર્ક આવેલો છે. આ ફોસીલ…

gujarattak
follow google news

વીરેન જોશી/મહિસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામ ખાતે વિશ્વના ત્રીજા નંબરનો અને ભારત દેશના પ્રથમ નંબરનો ડાયનાસોર ફોસીલ પાર્ક આવેલો છે. આ ફોસીલ પાર્કને જોવા માટે બાલાસિનોર તેમજ ગુજરાત ભરના અન્ય મોટા શહેરોમાંથી મુલાકાતીઓ આવતા હોય છે. ત્યારે આ ગામ સુધીની બસ સુવિધા ન હોવાના કારણે ડાયનાસોર પાર્ક જોવા આવતા મુલાકાતીઓને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે.

રૈયોલી ગામમાં આજ સુધી નથી મળી બસની સુવિધા
વિશ્વના ત્રીજા નંબરનો અને ભારત દેશના પ્રથમ નંબરનો ડાયનાસોર ફોસીલ પાર્ક જે રૈયોલી ગામમાં આવેલો છે તે રૈયોલીની ગ્રામપંચાયતે જો આગામી સમયમાં બસ સેવા શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોની ઉપસ્થિતીમાં આવનારી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરતો ઠરાવ પસાર કર્યો છે. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે આ ગામને આદર્શ ગામ તરીકે જાહેર કરેલું છે ત્યારે આ ગામને બસ સુવિધા ન મળતા ગુજરાતના મુખ્યમંત્રીને બસ સુવિધા શરૂ કરવા લેખિતમાં માંગ કરી રહ્યા છે.

26 જૂને રૈયોલીમાં દેશનો સૌથી મોટો ડાયનોસર ફોસીલ પાર્ક બન્યો
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલી રૈયોલી ગામે વિશ્વવિખ્યાત ડાયનાસોર પાર્ક આવેલો છે. જ્યાં 26 જૂનના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે દેશના સૌ પ્રથમ અને વિશ્વનો ત્રીજો ફોસીલ પાર્ક ખાતે રૂ.16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વવિખ્યાત ડાયનાસોર પાર્ક જોવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસે આવે છે, પરંતુ ડાયનાસોર પાર્ક ખાતે બસની સુવિધા ન હોવાથી સહેલાણીઓને તક્લીફોનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ડાયનાસોર પાર્ક જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તો રૈયોલી ગામના ગ્રામજનોને આવકમાં પણ વધારો થાય તેમ હોઇ પાયાની સુવિધા બસ ન હોવાના કારણે રૈયોલી ગામના નાના મોટા વેપારીઓની આવક પર ફટકો પડી રહ્યો છે. તેમજ ગામના વિદ્યાર્થીઓને પણ શાળા-કોલેજ જવા આવવામાં પણ ભારે પરેશાની વેઠવી પડે છે.

પાયાની સુવિધાના અભાવે ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
ત્યારે ગુજરાતના અન્ય મોટા શહેરોમાંથી સીધી ડાયનાસોરને પાર્કને જોડતી બસ સુવિધા ચાલુ કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તે પ્રકારનો ઠરાવ રૈયોલી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા દરમ્યાન કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા વધુ બસ સેવાઓ શરૂ કરવા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જેથી રૈયોલી આવતા પ્રવાસીઓને પડતી હાલાકી દૂર થાય જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત માટે આવી શકે અને ગામના ગ્રામજનોને સારો વ્યવસાય મળી શકે જેથી ગ્રામજનો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ ન પડે.

    follow whatsapp