નડિયાદઃ સમગ્ર રાજ્યમાં અત્યારે રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. અવારનવાર આ ઢોરોના કારણે અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આજે શુક્રવારે નડિયાદ શહેર પશ્ચિમમાં શારદા મંદિર વિસ્તાર પાસે એક રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો. રોડ પર આવતા જતા વાહન ચાલકોને તેમજ લોકોને રખડતા ઢોરે ચારથી પાંચ વ્યક્તિઓને શિંગડે ચડાવી ઘાયલ કર્યા હતા. જયારે એક વ્યક્તિને રખડતા ઢોરે દોડાવી- દોડાવીને જમીન પર પટક્યો હતો. આ વ્યક્તિ અચાનક બાજુમાં આવેલા મેદાનમાં દોડી ગયો હતો છતાં પણ ઢોર તેની પાછળ પડ્યો અને તેને જમીન પર પટકી દીધો હતો.
ADVERTISEMENT
સ્થાનિક વાહનચાલકો ગભરાઈ ગયા
નડિયાદમાં શારદા મંદિર પાસે રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો. તેણે રસ્તા પર ચાલતા લોકોને હેરાન કરી મુક્યા હતા. તેવામાં જે પણ વાહનો જાય તેની પાછળ આ ઢોર દોડતો અને તેમને જમીન પર પટકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક યુવક ત્યાંથી પસાર થતા ઢોર તેની પાછળ દોડ્યો હતો. આ ઢોરથી બચવા માટે યુવક મેદાન તરફ ભાગ્યો હતો. જોકે ઢોરે તેને ઝડપી પાડ્યો અને શિંગડે ચડાવી જમીન પર પટકી દીધો હતો. એટલુ જ નહીં આ ઢોર વારંવાર આ યુવકને શિંગડે ચડાવીને જમીન પર પટકવા માટે પ્રયાસો કરી રહ્યો હતો.
પાંચ શખસોને શિંગડે ચડાવ્યા
નડિયાદમાં આ રખડતા ઢોરે ક્ષણવારમાં તો પાંચ લોકોને શિંગડે ચડાવી દીધા હતા. જેથી તંત્ર સફાળુ જાગ્યું અને ઢોર પકડનારા લોકો ત્યાં પહોંચી ગયા અને સ્થિતિને કાબૂમાં લેવા તૈયાર રહ્યા હતા. નોંધનીય છે કે ભારે મહેનત પછી તેમણે ઢોરને પકડી પાડ્યો હતો અને તેને પાંજરામાં પૂરી દેતા લોકોને રાહત થઈ હતી.
With Input- હેતાલી શાહ
ADVERTISEMENT
