બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચિત ચહેરામાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્ચા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા સામે મોરચો ખોલ્યો છે અને જેલભરો આંદોલનની જાહેરાત કરી છે. ગેનીબેનનો આક્ષેપ છે કે, SP રાજકીય ઈશારે કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. એવામાં હવે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવાનું ટ્વીટ કર્યું છે.
ADVERTISEMENT
ગેનીબેને શું ટ્વીટ કર્યું?
ગેનીબેન ઠાકોરે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, આપસૌ વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે બનાસકાંઠા એસ.પી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતે જેલ-ભરો આંદોલન સાથે જાહેર સભાનું થરાદ મુકામે આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે. તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબંધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ.
ગેનીબેન ઠાકોરની આ લડાઈમાં પૂર્વ MLA ગુલાબસિંહ અને રઘુ દેસાઈ પણ જોડાશે. આજે ગેનીબેન ઠાકોર કલેક્ટરને મળશે અને આ અંગે આવેદન પત્ર આપશે. ગેનીબેનના આ ટ્વીટને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ રિટ્વીટ કર્યું છે અને તેમના સમર્થનમાં આવ્યા છે.
ADVERTISEMENT
