ISRO chief S Somanath: ઈસરોના ચીફ એસ.સોમનાથને કેન્સર થયું છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. સોલાર મિશન આદિત્ય એલ-1ના લૉન્ચિંગના દિવસે રૂટિન ચેકઅપ દરમિયાન તેમને આ ગંભીર બીમારી વિશે જાણ થઈ હતી.
ADVERTISEMENT
ચંદ્રયાન-3ના લૉન્ચિંગ વખતે પણ હતી સમસ્યાઃ ઈસરો ચીફ
એસ. સોમનાથે એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, સ્કેનિંગમાં કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-3 મિશનના લૉન્ચ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જોકે, ત્યાં સુધી કંઈ પણ સ્પષ્ટ ન હતું.
પરિવારજનો થઈ ગયા હતા દુઃખી
તેમણે કહ્યું કે, આદિત્ય મિશનના દિવસે જ તેમને આ બીમારી વિશે ખબર પડી હતી. જેથી તેઓ અને તેમના પરિવારજનો દુઃખી થઈ ગયા હતા. અહીં સુધી કે તેમના તમામ સાથી વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી દુઃખી હતા. પરંતુ તેમણે આ પડકારજનક માહોલમાં પોતાને સંભાળીને રાખ્યા. પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોએ તેમને સંભાળ્યા.
હોસ્પિટલમાં કરાવી સર્જરી
લૉન્ચિંગ બાદ તેઓ વધુ સારવાર માટે ચેન્નાઈ ગયા હતા. જ્યાં એવું બહાર આવ્યું હતું કે આ બીમારી તેમને જેનેટિકલી મળી છે અને તેમને પેટનું કેન્સર છે. આ પછી સોમનાથની સર્જરી કરાવી. પછી તેમની કીમોથેરાપી ચાલતી રહી.
પરિવાર અને મિત્રોએ આપ્યો સાથ
એસ.સોમનાથે જણાવ્યું કે, તેમનો આખો પરિવાર આઘાતમાં હતો. પણ હવે એવું કંઈ નથી. સારવાર થઈ અને તેઓ સ્વસ્થ થઈ ગયા. દવાઓ હાલમાં ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન તેમના પરિવાર અને મિત્રોએ તેમને ઘણો સાથ આપ્યો.
હવે હું સંપૂર્ણ સ્વસ્થઃ ઈસરો ચીફ
તેમણે જણાવ્યું કે, તેઓ જાણે છે કે સારવારમાં ઘણો સમય લાગશે. તે એક લાંબી પ્રક્રિયા છે. પણ હું આ જંગ લડીશ. ઘણી રિકવરી થઈ છે. હું માત્ર ચાર દિવસ જ હોસ્પિટલમાં હતો અને પાંચમા દિવસથી ઈસરોમાં કામ કરવા લાગ્યો હતો. હું સતત મેડિકલ ચેકઅપ્સ અને સ્કેન કરાવી રહ્યો છું. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું.
ADVERTISEMENT