Pankaj Udhas Passed Away: મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંકજ ઉધાસ લાંબા સમયથી બીમાર હતા. તેમના પરિવારે ટ્વીટ કરીને તેમના નિધનના દુઃખદ સમાચાર આપ્યા છે. પંકજ ઉધાસની દીકરી નયાબ ઉધાસ ( nayaab udhas)એ કહ્યું કે, ખૂબ જ દુઃખની સાથે કહેવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
ADVERTISEMENT

જેતપુરમાં ચારણ પરિવારમાં થયો હતો જન્મ
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ રાજકોટના જેતપુરમાં એક ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે.
ભાવનગરથી કર્યો હતો પ્રારંભિક અભ્યાસ
પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાંથી કર્યો હતો. જે બાદ તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો.
ભાવનગર રાજ્યના દીવાન હતા દાદા
તેમના દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓ પ્રખ્યાત વીણા વાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા. જેમણે તેમને દિલરૂબા વગાડતા શીખવ્યું હતું
1980માં થઈ હતી કરિયરની શરૂઆત
તેમણે તેમના કરિયરની શરૂઆત 1980માં 'આહત' નામનો ગઝલ આલ્બમ બહાર પાડીને કરી હતી. ટૂંક સમયમાં તેઓ ભારતમાં ગઝલ સંગીતનો પર્યાય બની ગયા. બોલિવૂડમાં ગઝલ ગાયકે સંજય દત્તની ફિલ્મ 'નામ' માટે લોકપ્રિય ગીત 'ચિઠ્ઠી આયી હૈ' ગાયું હતું. આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું અને બધાને રડાવી દીધા હતા
ADVERTISEMENT
