હેતાલી શાહ/આણંદ: ઉમરેઠના મુખ્ય બજાર એવા પંચવટી-ખરાડીની કોઠ વિસ્તારમાં આવેલ મકાનમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રિના એક વાગ્યેની આસપાસ લાગેલી આગમાં બે જેટલા મકાનો તથા ત્રણ જેટલી દુકાનોને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં આણંદ,નડિયાદ સહિત ઉમરેઠના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સંપુર્ણ મકાન આગમાં બળીને ખાખ થઈ ગયું છે. જ્યારે દુકાન પણ આગની ઝપેટમાં આવતા તે પણ બળીને ખાખ થઈ ગઈ છે.
ADVERTISEMENT
મોડી રાત્રે 1 વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગી
આણંદ જિલ્લાના ઉમરેઠમાં રાત્રિના આશરે 1:00 વાગ્યાની આસપાસ પંચવટી ખરાદીની કોઢ વિસ્તારમાં આવેલા મકાન તથા દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ વિસ્તારમાં આવેલા એક મકાનમાં સૌપ્રથમ આગ લાગી હતી. મકાનમાં જ્યારે આગ લાગી ત્યારે એક વૃદ્ધ તે મકાનમાં રહેતા હતા. સદનસીબે તે વૃદ્ધ સમય સૂચકતા વાપરી મકાનની બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે. મકાનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે પાસેના મકાનને પણ આગની ચપેટમાં લઈ લીધું. એટલું જ નહીં મકાનની નીચે આવેલ ત્રણ દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ આણંદ, નડિયાદ સહિત ઉમરેઠ ફાયર વિભાગની ટીમને થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ ત્રણથી ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમે સફળતા મેળવી હતી. જોકે બંને મકાન તથા દુકાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
ઘર નીચે આવેલી દુકાન પણ ખાખ
મહત્વનું છે કે જે સમયે ઘરમાં આગ લાગી તેની સાથે જ ઘરની નીચે આવેલ સાડીઓની દુકાનોમાં રહેલો માલ સામાન તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. જેને લઈને દુકાનમાં રહેલ માલ સામાનને કોઈ નુકસાન થયું નથી. પરંતુ દુકાન સંપૂર્ણપણે બળીને થાક થઈ ગઈ છે. આ સાથે જ જે મકાનમાં આગ લાગી હતી તે મકાનમાં રહેતા વૃદ્ધ મોટી ઉંમરના હોવાથી તેઓ સ્પષ્ટ કંઈ પણ જણાવી શક્યા નથી. જેને લઈને આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.
એક મકાનમાં લાગેલી આગ જોત જોતામાં 3 દુકાનોમાં ફેલાઈ ગઈ
આ ઘટના અંગે નડિયાદ ફાયર વિભાગના ફાયર કર્મી જયેશભાઈના જણાવ્યા અનુસાર,” ઉમરેઠના મુખ્ય બજારમાં આવેલ પંચવટી ખરાદીની કોઢ વિસ્તારમાં એક ઘર આવેલું છે જે ઘરમાં આગ લાગવાની ઘટના બની. જેનો કોલ નડિયાદ ફાયર વિભાગની ટીમને મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા, ત્યારે આ આગ બીજા મકાનની સાથે સાથે નીચે આવેલી ત્રણ દુકાનોમાં પણ ફેલાઈ હતી. જેને લઈને આણંદ, નડિયાદ તથા ઉમરેઠ ના ફાયર વિભાગના ચાર ફાયર ટેન્ડર ની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ વિસ્તારમાં આવેલ જે મકાનમાં આગ લાગી હતી તે વિસ્તારમાં ખૂબ જ સાંકળી ગલીઓ છે, જેને લઈને ફાયર વિભાગની ટીમને પણ ત્યાં પહોંચતા તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. જોકે મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે. મકાનમાં રહેલી ઘરવખરી પણ બળી ગઈ છે. સાથે જ જે સમયે મકાનમાં આગ લાગી તેની સાથે નીચે દુકાનોમાં પણ આગ ફેલાવવાની સંભાવના ને લઈને તાત્કાલિક નીચે આવેલી સાડીઓની દુકાનોમાંથી માલ સામાન ખસેડવામાં આવ્યો હતો. જેને લઈને નીચેની દુકાનોમાં કોઈપણ માલને નુકસાન થયું નથી. પણ દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટના કેવી રીતે બની તે હજી જાણી શકાયું નથી. પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું અનુમાન લગાવી શકાય કે આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે. પરંતુ તપાસ બાદ જ ખબર પડશે કે આ આગ કયા કારણોસર લાગી છે.
ADVERTISEMENT
