કચ્છ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ સ્મૃતિ વનમાં જ આકાર પામી રહેલા ભૂકંપ મ્યુઝિયમનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. આ સમગ્ર પ્રોજેક્ટ ભુજિયા ડુંગર પર 470 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્મૃતિ વનનું ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપની અનુભૂતિ આપતું દેશનું પહેલું મ્યુઝિયમ હશે. ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ADVERTISEMENT
11,500 ચો.મીમાં ભૂકંપ મ્યુઝિયમ
આ ભૂકંપ મ્યૂઝિયમ 11,500 ચો.મીમાં તૈયાર કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં સિમ્યુલેટર તેમજ પડદા પર વીડિયો સાથે ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. તે સિવાય જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો અને અન્ય જરૂરી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે.
12,932 પીડિતોના નામની તકતી ચેકડેમની દીવાલો પર
આ સાથે ભુજના 300 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. 50 ચેકડેમ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. લોકોને આકર્ષવા માટે સનસેટ પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે પણ તૈયાર કરવામાં આવ્યો છે તથા 1.2 કિમી આંતરિક રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મુલાકાતીઓ માટે 3000 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ સાથે ગુજરાત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છના સ્મૃતિ વનમાં ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
