અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ રહી છે. આ વચ્ચે ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. બીજી તરફ સ્થાનિક પાર્ટીઓ દ્વારા ગઠબંધન માટે પણ કવાયત તેજ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ સાથે આ વખતે BTP અને NCP બંને પાર્ટીઓ ગઠબંધનના પ્રયાસમાં હોવાની માહિતી મળી રહી છે. પરંતુ કોંગ્રેસ NCP સાથે એક પણ સીટ પર ગઠબંધન કરે તેવી શક્યતા નથી.
ADVERTISEMENT
શા માટે કોંગ્રેસ નહીં કરે ગઠબંધન?
ચૂંટણી પહેલા NCP સાથે કોંગ્રેસના જોડાણની શક્યતા એટલા માટે નકારી શકાય કારણ કે કોંગ્રેસના એક સિનિયર નેતાના હવાલાથી મળતી માહિતી મુજબ, NCP વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરે છે અને રાજ્યસભાની ચૂંટણીમાં દર વખતે વોટ ભાજપને આપે છે. આમ NCP સાથેના જોડાણથી કોંગ્રેસને કોઈ ફાયદો થતો નથી. ગત વખતે પણ કોંગ્રેસે NCP સાથે 7 સીટો પર ગઠબંધન કર્યું હતું, પરંતુ NCPના ઉમેદવારો બીજા ક્રમે પણ નહોતા આવી શક્યા. એવામાં આ ડીલથી કોંગ્રેસને ફાયદો તો કોઈ નથી, પરંતુ નુકસાન જ નુકસાન છે.
BTP સાથે ગઠબંધન થશે કે નહીં?
બીજી તરફ BTP પણ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના પ્રયાસમાં છે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાથે BTPનું 5 બેઠકો પર ગઠબંધન થયું હતું. જેમાં માત્ર 2 સીટો જ BTPને મળી હતી. અને અન્ય બેઠકો પર નબળા ઉમેદવારોના કારણે ભાજપના ઉમેદવારોનો સરળ વિજય થયો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસ BTP સાથે કેટલી બેઠકો પર ગઠબંધન કરશે કે પછી પોતાના જ ઉમેદવારો ઉતારશે તે ખાસ જોવાનું રહેશે.
ADVERTISEMENT
