બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. બનાસકાંઠાના થરાદમાં આજે કોંગ્રેસની જાહેરસભા યોજાઈ હતી. જેમાં રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં કોંગ્રેસને 125 જેટલી બેઠકો આવશે.
ADVERTISEMENT
ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો દાવો
રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, ચૂંટણીઓ આવી 2022ના ડિસેમ્બરમાં રણટંકાર વાગે છે. આ રણટંકારમાં તમારે નક્કી કરવાનું છે કે, જનતા જાગે તો ભલભલાને નેસ્તા નાબૂદ કરી નાખે. આ જનતાના અવાજનો પરચો તમારે 2022માં બતાવવાનો છે. સરકાર આવી છે, આવવાની છે. જગદીશભાઈની સામે હાથ કરીને એક ગૌપાલનો દીકરો કહે છે 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો. આ વખતે જનતા પરિવર્તન ઈચ્છે છે.
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પારણા કર્યા
જોકે હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતે છે તે તો ચૂંટણીના પરિણામો આવે ત્યારે જ માલુમ પડશે. બીજી તરફ છેલ્લા 8 દિવસથી ઉપવાસ પર બેઠેલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આજે પારણા કરી લીધા છે. તેઓ પોતાના વિસ્તારની વિવિધ માગણીઓને લઈને સરકાર સામે ધરણાં પર બેઠા હતા. આજે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિનંતી કરતા ગુલાબસિંહ રાજપૂતે તેમના હાથે પાણી પીને પારણા કર્યા હતા.
ગુજરાતમાં ઘરે ઘરે રાહુલ ગાંધીના વચનો પહોંચાડશે કોંગ્રેસ
નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસે હવે આળસ મરડી અને પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. કોંગ્રેસ હવે મતદારો પાસે જવાનો પ્રયાસ કરી રહી છે. આજથી જનસંપર્ક શરૂ કર્યો છે. મારુ બુથ મારુ ગૌરવ અભિયાનનો જગદીશ ઠાકોરે પોતાના બુથથી પ્રારંભ કર્યો છે. મેરા બુથ મેરા ગૌરવ અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર શરુ કર્યો અને રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોને લઇને નેતાઓ મતદારોના ઘેર ઘેર પહોંચ્યા હતા.
ADVERTISEMENT
