BJP નેતાએ ચર્ચા માટે ખુલ્લો પડકાર ફેંક્યો, Isudan Gadhviએ સમય-સ્થળ આપીને કહ્યું-મંજૂર છે

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી સક્રિય પણે ભાજપ પર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી સક્રિય પણે ભાજપ પર પ્રહાર કરવાનો એકપણ તક છોડી રહી નથી. આપના નેતા ઈસુદાન ગઢવીએ આજે માલધારી સમાજને ભાજપ દ્વારા અન્યાય કરાતો હોવાનું નિવેદન આપ્યું હતું. જે બાદ ભાજપ સક્રિય થયું છે. ભાજપના માલધારી સમાજના પ્રદેશ સંયોજક ડો. સંજય દેસાઈએ ઈસુદાન ગઢવીને ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે. જેને ઈસુદાન ગઢવીએ સ્વીકારી લીધો છે.

ભાજપના નેતાએ ચૂંટણી માટે ફેંક્યો પડકાર
ભાજપના માલધારી સેલના પ્રદેશ સંયોજક ડો. સંજય દેસાઈએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, રેવડી બજારના ઈસુદાન ગઢવીએ માલધારી સમાજને ચૂંટણી લક્ષી ભ્રામિત વચનોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. હું માલધારી સમાજના પ્રદેશ સંયોજક તરીકે ઇસુદાન ગઢવીને ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંકુ છું. માલધારીઓની આ ભાજપ સરકારમાં આર્થિક, શૈક્ષણિક, સામાજિક ખાસ કરીને સરકારી નોકરીઓમાં જે નિમણૂંકો થઈ છે, સમાજ બે પાંદડે થયો છે અને સમાજની પ્રગતિ થઈ છે તેના એકે એક આંકડા મારી પાસે છે. હું ખુલ્લો પકડાર ફેંકું છું કે, આવો મારી સાથે ચર્ચામાં બેસો અને માલધારી સમાજ માટે ભાજપ સરકારે જે કર્યું તે છે તે વાત હું મારી રીતે મૂકવા તૈયાર છું, ચૂંટણી લક્ષી આ ભ્રામિત વચનોમાં અમારો માલધારી સમાજ ફસાશે નહીં તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

ઈસુદાન ગઢવીએ શું આપ્યું જવાબ?
જેના જવાબમાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપના માલધારી સેલ અધ્યક્ષ સંજયભાઈ તમારી ચેલેન્જ મને સ્વીકાર્ય છે. ભોળા માલધારી સમાજને ભાજપે હંમેશા અન્યાય કર્યો છે. ત્યારે માલધારી સમાજના પડતર પ્રશ્નો, સરકારી હેરાનગતિ સહિતની સમસ્યાઓ બાબતે હું ચર્ચા કરવા તૈયાર છું. મીડિયાની હાજરીમાં આપણે ચર્ચા કરીશું. તારીખ-30 ઓગસ્ટ, 2022, સમય-બપોરે 12 વાગ્યે. સ્થળઃ મયુર રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ્સ, ફર્સ્ટ ફ્લોર, સેફ્રોન બિઝનેસ પાર્ક, જશોદાનગર ક્રોસ રોડ, ફાયર સ્ટેશનની પાસે, અમદાવાદ.

ઈસુદાન ગઢવીએ માલધારી સમાજ પર પહેલા આપ્યું હતું નિવેદન
આ પહેલા ઈસુદાન ગઢવીએ રાજ્યમાં શરૂ કરાયેલી રખડતા ઢોર પકડવાની ડ્રાઈવે અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ સરકારે માલધારી અને પશુ વિરોધના કાયદાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે. પહેલા કાયદો લાવ્યો અને પછી રાખી મૂકી. પરંતુ ભાજપ સરકાર એટલી હોંશિયાર છે કે તેમણે હાઈકોર્ટ પાસેથી કહેડાવ્યું કે રખડતા ઢોરોનું કંઈ કરો. માલધારીઓના તબેલા છે, વાડા છે ત્યાંથી ગાય માતાને પકડી પકડીને અને માલધારીઓ વિરોધ કરે તો લાઠીચાર્જ કરવાનું ખોટી ફરિયાદ કરવાનું ષડયંત્ર ચાલું કર્યું છે. જેથી સમગ્ર માલધારીઓમાં રોષ છે. AAP આનો સખત વિરોધ કરે છે. ભાજપમાં યુવાનો છે તે રાજીનામાં આપી રહ્યા છે. હવે સૂત્ર આવી રહ્યા છે, માલધારી હવે આપધારી. આપની સરકાર બનતા ગેરંટી આપીએ છીએ કે, ગૌચરની જમીન ખાલી કરાવી રખડતા ઢોરોને ત્યાં રખાશે.

    follow whatsapp