સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોના એક બાદ એક વિવાદિત વીડિયો સામે આવી રહ્યા છે. મતદારોને આકર્ષવાના પ્રયાસમાં ઉમેદવારો બેફામ નિવેદનો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દસાડા-લખતર વિધાનસભાના ભાજપના ઉમેદવારનો વાણીવિલાસ કરતો વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં તેઓ રોડ-રસ્તા સહિતના મુદ્દે પ્રશ્નો કરનાર મહિલાને ઉડાઉ જવાબ આપે છે.
ADVERTISEMENT
ભાજપના ઉમેદવારનો વીડિયો વાઈરલ
દસાડા-લખતર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પી.કે.પરમારનો વિવાદસ્પદ બોલ બોલતો વિડીયો વાયરલ થયો છે. રુસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન જતા એક મહિલાએ તેમને રોડ-રસ્તા મામલે પ્રશ્નો કર્યા હતા અને ઉધડો લીધો હતો. જોકે પી.કે પરમારે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, ભાજપને મત આપ્યો નથી તો ક્યાંથી કામ થાય. કોંગ્રેસને મત આપીને ભાજપ પાસેથી કેવી રીતે આશા રાખી શકો. અમે રાજનીતિ કરીએ છીએ કોઈ ભજન મંડળી નથી ચલાવતા. તેમણે આગળ કહ્યું કે, બેલેટ પેપર હોય તો ખબર ન પડે, હવે તો મશીન આવી ગયા ખબર પડી જાય. તમે મશીનમાં ભાજપ બાજુ મતદાન કરો, કોંગ્રેસને મત આપો અને પંજો નીકળે તો અમને ખબર પડે. પછી અમારા ઉપર આશા રાખો કે કામ કરે. જોકે ઉમેદવારનો આ ઉડાઉ વીડિયો વાઈરલ થતા હવે રાજકારણ ગરમાયું છે. જોકે Gujarat Tak આ વીડિયોનું પુષ્ટિ કરતું નથી.
પાટણમાં પણ ભાજપ નેતાનો બફાટ
નોંધનીય છે કે, ચૂંટણીમાં તાજેતરમાં જ પાટણમાંથી પણ ભાજપના નેતાનો વીડિયો સામે આવ્યો હતો. પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે ચૂંટણી સભા દરમિયાન મંદિર અને મસ્જિદને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. પાટણમાં ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઈની સભા હતી જેમાં મનોજ પટેલે કહ્યું કે, ‘મંદિર બનાવવું છે કે મસ્જિદ બનાવવી છે? બોલા ભાઈ. તો જેમણે મંદિર બનાવવું હોય તે ભાજપ સાથે રહે અને જેને મસ્જિદ બનાવવી હોય તે કોંગ્રેસ સાથે રહે.’
ગઈકાલે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આપ્યું હતું વિવાદિત નિવેદન
નોંધનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના નેતાએ પણ બફાટ કર્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં કહ્યું કે, મારા મત મુજબ તો અલ્લાહ અને મહાદેવ એક જ છે. અજમેરમાં મહાદેવ છે તો સોમનાથમાં અલ્લાહ બેઠા છે. આની સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. અત્યારે આ વીડિયો પવન વેગે વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વોટબેંકની રાજનીતિ માટે આ કૃત્ય કર્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે.
(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)
ADVERTISEMENT
