Gujarat Corona : ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1 ના કુલ 109 કેસ છે. ગુજરાતમાં સૌથી વધુ 36 કેસ છે. ત્યારબાદ કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 છે.
ADVERTISEMENT
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી
એવામાં રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વધુ 6 કોરોનાના નવા કેસ નોંધાતા આખરે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 56 પર પહોંચી છે. અમદાવાદ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 25 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદના સરખેજ, રાણીપ વોર્ડમાં કોરોનાનાના 1-1 કેસ નોંધાયા છે. લાંબા સમયબાદ ગઇકાલે અમદાવાદમાં એક વૃદ્ધનું દરિયાપુરમાં કોરોનાથી મોત થયું હતું.
કેરળમાં સૌથી વધુ સંક્રમણ
જો ભારતમાં કોરોનાના ઝડપી સંક્રમણની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 353 દર્દીઓ સંક્રમિત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે અહીંના મોટાભાગના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. એક દિવસમાં 495 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 74 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે તમિલનાડુમાં 14 અને ગુજરાતમાં નવ લોકો સંક્રમિત થયા છે.
દેશમાં શું સ્થિતિ છે?
બુધવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા 4.50 કરોડ (4,50,10,189) છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે ત્રણ લોકોના મોતને કારણે આ રોગચાળાના કારણે મૃત્યુઆંક વધીને 5,33,340 થઈ ગયો છે. મંત્રાલયના ડેટા અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,72,756 થઈ ગઈ છે. સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.81 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.18 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
