સુરત: સુરત શહેરમાં રખડતા શ્વાનના આતંકની સતત ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ 2 વર્ષની એક બાળકીને શહેરના ખજોદ વિસ્તારમાં 3 જેટલા રખડતાં શ્વાનોએ 40 જેટલા બચકા ભર્યા હતા. જેમાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી જે બાદ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે 4 દિવસની સારવાર બાદ હવે આ માસુમ બાળકીનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
બંગાળનો પરિવાર સુરતમાં મજૂરી કામ કરીને રહે છે
મૂળ પશ્ચિમ બંગાળના વતીની રવીભાઈ કહાર પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19મી ફેબ્રુઆરીના રોજ તેમની 2 વર્ષની બાળકી બહાર રમી રહી હતી. દરમિયાન 3 જેટલા શ્વાને તેને ઘેરી લઈને શરીર પર બચકા ભર્યા હતા. જેમાં તેને માથા અને અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી. આથી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
30થી 40 બચકા ભરતા ગંભીર રીતે ઘવાઈ હતી બાળકી
બાળકીની સારવાર કરનારા તબીબોએ જણાવ્યું કે, બાળકીના શરીર અને માથા પર 30થી 40 જેટલા કરડવાના ઘા હતા. આથી તેની સ્થિતિ ગંભીર હતી. તેનું ઓપરેશન કરવામાં કરવામાં આવ્યું હતું. જોકે 3 દિવસની સારવાર બાદ જ ગતરાત્રીએ તેનું મોત થઈ ગયું. બાળકીના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
સુરતમાં 15 દિવસમાં શ્વાન કરડવાના 477 કેસ
નોંધનીય છે કે, ગુજરાતના સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શેરી કૂતરાઓ આતંક મચાવી રહ્યા છે. કૂતરા કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એકલા સુરત મહાનગર પાલિકાના વિસ્તારમાં જ છેલ્લા 15 દિવસમાં કૂતરા કરડવાના 477 કેસ નોંધાયા છે. દિન પ્રતિદિન આવા કિસ્સાઓ વધતા સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને શહેરના ભેસ્તાન વિસ્તારમાં શ્વાન માટે 60 પાંજરા મુકીને રાશન અને સ્પેશિયલાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી છે.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાજપૂત)
ADVERTISEMENT
