દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ગઈકાલે રામનવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારાનો બનાવ બન્યો હતો. ઘટના બાદ ગૃહવિભાગ તરત એક્શનમાં આવ્યું હતુ અને શહેરમાં મોડી રાત સુધી પોલીસનું કોમ્બિંગ ચાલ્યું હતું. સમગ્ર મામલે અત્યાર સુધીમાં પોલીસે 22 જેટલા લોકોને ડિટેઈન કરી લીધા છે. ત્યારે પોલીસના કોમ્બિંગના કેટલાક વીડિયો હાલમાં સામે આવ્યા છે. જેમાં તેઓ ઘરે ઘરે જઈને તોફાનીઓને શોધ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ દ્વારા ઘરે ઘરે જઈને તોફાનીઓને શોધવામાં આવ્યા
મોડી રાત સુધી ચાલેલા પોલીસના કોમ્બિંગમાં લોકોના ઘરમાં જઈને અન્ય કોઈ હથિયારો કે સીસીટીવીમાં કેદ થયેલા તોફાનીઓની શોધખોળ હાથ આદરી હતી અને સવાર સુધીમાં કુલ 22 જેટલા લોકોને ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા. સાથે જ વિસ્તારમાં ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SRPની 3 જેટલી ટીમો ખડકી દેવામાં આવી હતી. વડોદરાના JCP મનોજ નિનામાએ આ અંગે જણાવ્યું હતું કે, કોમ્બિંગ માટે 6 DCP લેવલના અધિકારીઓએ લગાવાયા હતા અને દરેકની સાથે 50-50 પોલીસકર્મીઓની ટીમ હતી.
રામનવમીની શોભાયાત્રામાં બન્યો હતો બનાવ
શહેરના ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હતી. સીટિ પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. જેમાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો. નોંધનીય છે કે, રામનવમીની શોભાયાત્રા પર થયેલા હુમલાના પડઘા હવે રાષ્ટ્રીય સ્તર સુધી પડ્યા હતા. ગાંધીનગરથી તમામ તોફાનીઓને ઝડપી લેવા માટેના આદેશ કરાયા હતા. તમામ આરોપીઓને રાત્રે 12 વાગ્યા સુધીમાં રાઉન્ડઅપ કરી લેવા માટેના આદેશો થયા હતા. બીજી તરફ ગુજરાત રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ તોફાની તત્વોને ઝડપીને કડકમાં કડક કાર્યવાહી માટેના આદેશ આપ્યા હતા.
ADVERTISEMENT