વડોદરા: હાલમાં જ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમી પર શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હવે હનુમાન જયંતિ પહેલા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હનુમાન જયંતિ પર શહેરમાં બે શોભાયાત્રા નીકળવાની છે. આ પહેલા શહેરના અતિ સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાં પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. પથ્થરમારો થયો તે ઘટના પર પોલીસ દ્વારા 1000 જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડ્રોન કેમેરા, સીસીટીવી અને ધાબા પરથી પોલીસ નજર રાખશે
વડોદરામાં હનુમાન દાદાની શોભાયાત્રામાં કાંકરીચાળો ન થાય તે માટે પોલીસે ધાબા પોઈન્ટ અને સીસીટીવીથી મોનિટરિંગ કરશે. આ સાથે જ 2 ડ્રોન કેમેરા પણ શોભાયાત્રામાં બાજ નજર રાખશે. જ્યારે 1000 પોલીસકર્મી સાથ 101 SRP જવાનો પણ બંદોબસ્તમાં રહેશે. બીજી તરફ પોલીસ દ્વારા શોભાયાત્રા પહેલા જ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રામનવમી પર શોભાયાત્રામાં થયો હતો પથ્થરમારો
નોંધનીય છે કે, તાજેતરમાં જ રામનવમી પર વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદ પોલીસના ધાડે ધાડા સંવેદનશીલ વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આખી રાત સુધી વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને 22 જેટલા લોકોને ડિટેઈન કર્યા હતા. સાથે જ ભડકાઉ ભાષણ આપવા મામલે VHPના નેતાની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે હનુમાન જયંતિ પર ફરી આ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ તોફાની કાંકરીચાળો ન કરે તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT
