અમદાવાદ: 15 ઓગસ્ટથી સતત ચર્ચામાં છે તેવા બિલકિસ બાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. 11 દોષિતોને મુક્ત કરવા મામલે દોષિતોને પણ પક્ષકાર બનાવવા આદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમકોર્ટનો સવાલ છે કે કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલે હવે 2 સપ્તાહ બાદ સુનાવણી થશે. સામૂહિક દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા 11 દોષિતોને 15 ઓગસ્ટ ના રોજ સજામુક્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રાજ્ય સરકારે બિલકિસ બાનો કેસના દોષિતોને 15 ઓગસ્ટના રોજ મુક્ત કર્યા હતા. સરકારના આ નિર્ણય બાદ બિલ્કિસ બાનોએ ગુજરાત સરકારના આ નિર્ણયને પાછો લેવા અને ડર્યા વગર અને શાંતિથી જીવન જીવવાનો તેમનો અધિકાર પાછો આપવાની અપીલ કરી હતી.
ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરવા કરી માંગ
ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માંગ કરી છે. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું દોષિતોને ગુજરાતના નિયમો હેઠળ મુક્તિ મળે છે કે નહીં? અમારે જોવું પડશે કે છૂટ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.
દોષિતોને 15 ઓગસ્ટે મુક્ત કરાયા
કેન્દ્ર સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને ધ્યાનમાં રાખીને કેદીઓને મુક્ત કરવા અંગે રાજ્યોને વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. બળાત્કારના દોષિતો માટે અકાળે મુક્તિની કોઈ જોગવાઈ નહોતી. બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ તથા બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ હેઠળ માફી આપવામાં આવી હતી. બાદમાં 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ માલલે બિલકિસ બાનો દ્વારા સરકારને આ નિર્ણય પરત લેવા અપીલ કરી કરી.
ન્યાય વ્યવસ્થામાં મારો વિશ્વાસ ડગમગી ગયો: બિલકિસ બાનો
11 દોષિતોને મુક્ત કરવા બાબતે બિલકિસ રસુલે કહ્યું હતું કે, આ 11 આરોપીઓની મુક્તિએ મારી પાસેથી મારી શાંતિ છીનવી લીધી છે અને ન્યાય વ્યવસ્થામાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને આ અચંબો ભરેલો વિશ્વાસ માત્ર મારા માટે જ નથી, પરંતુ તે તમામ મહિલાઓ માટે છે જેઓ આજે ન્યાય માટે કોર્ટમાં લડી રહી છે.
શું છે સમગ્ર મામલો…
ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન આ ભીડે બિલકિસ બાનો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દીધી હતી. આ ઘટના દરમિયાન બિલકિસ ગર્ભવતી હતી. જોકે સમગ્ર ઘટનામાં તેના પરિવારના 6 સભ્યો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2004માં દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ 11 લોકોને બિલકિસ બાનોના પરિવારના 7 સભ્યોની હત્યા અને બિલકીસ બાનો પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. જ્યારે બિલકિસ બાનો પર સામૂહિક દુષ્કર્મ થયો ત્યારે તે 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલાઓમાં તેની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
