Surat News: કોઈ એક્ટરની પાછળ લોકો કેવા દિવાના હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ શનિવારે એટલે કે આજે જોવા મળ્યું. જ્યારે સુરતના અડાજણ વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સના શો-રૂમનું ઉદ્ધાટન કરવા આવેલા બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને જોવા માટે ભારે ભીડ જામી હતી. જોકે, આ દરમિયાન ભાગદોડ થતાં રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વગર જ એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. તો ભાગદોડ થતાં બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT
રણબીર કપૂરને જોવા ભીડ બેકાબુ બની
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સના શો-રૂમના ઉદ્ધાટનમાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈને તેને મોટી સંખ્યામાં લોકો તેમને જોવા આવ્યા હતા. આ દરમિયાન રણબીર કપૂરને જોવા ભીડ બેકાબુ બની ગઈ હતી. જેના કારણે બાળકો સહિત અનેક લોકો દબાઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.
કાર્યક્રમ સ્થળે મચી ભાગદોડ
આ દરમિયાન લોકો લોખંડના બેરિકેડિંગ તોડીને અંદર ઘુસી ગયા હતા. આ ભીડને પોલીસ અને પ્રાઈવેટ ગાર્ડ માંડ-માંડ રોકી શક્યા હતા. કાર્યક્રમ સ્થળે લોકોમાં ભાગદોડ મચી જતાં રણબીર કપૂર પરફોર્મન્સ આપ્યા વિના જ જવા એરપોર્ટ રવાના થઈ ગયા હતા.
બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
આ ઘટનામાં બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાં નાના બાળકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT