સુરેન્દ્રનગરઃ ચોટીલા નાળા પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. જેમાં હવે પોલીસ તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. આ યુવકની લાશ પર તિક્ષ્ણ હથિયારોના ઘા હતા જે જોઈને જ આમ તો પોલીસ સમજી ગઈ હતી કે મામલો હત્યાનો છે. પોલીસે આખરે આ મામલાની તપાસમાં આરોપીઓ સુધી પહોંચી જઈને કડક કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પહેલા પણ સમજાવ્યો હતો પણ ના માન્યો જમાઈ
ચોટીલા પાસે જે યુવકની લાશ મળી તેની તપાસ કરતા પોલીસને જાણકારી મળી કે આ યુવકનું નામ દેવરાજભાઈ છે. વધુ કડીઓ જોડતા ખબર પડી કે યુવક ચોટીલા નજીક વાંકાનેરનો છે. તેને તેની પાટલા સાસુ હંસાબેને વાંકાનેરથી ચોટીલા ફોન કરીને બોલાવ્યો હતો. હંસાબેનની દીકરી સાથે તેના પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યા પછી ચાર મહિના પહેલા આ બાબતે તેને ટકોર્યો હતો. પ્રેમ સંબંધ ચાલુ જ રહ્યો હતો. જેથી પાટલા સાસુ દ્વારા તેને ચોટીલા બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેના સસરા અને સાળા સાથે ગરમાગરમી થઈ ગઈ હતી. ત્યારે તેને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને પતાવી દેવામાં આવ્યો હતો. બાદમાં તેની લાશને ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાઈ હતી.
પોલીસે આ મામલામાં પુછપરછના દૌરથી સમગ્ર હકિકત જાણી લીધી હતી. યુવકની લાશના પોસ્ટ મોર્ટમમાં પણ યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલામાં ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં વજા તલાણીયા, જાદવ વજાભાઈ, રઘુ વજાભાઈ, ઉપરાંત તેમની સાથે રહેલા એક યુવક સામે ફરિયાદ નોંધી છે.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT
