પોરબંદરઃ પોરબંદર ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા આઈઆરબીના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. ઘર્ષણ દરમયિાન ફાયરિંગ પણ થયું હતું જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે. જવાનોના ઝઘડામાં મામલાએ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. ઉલ્લેખનીય છે કે આ જવાનોને અહીં ચૂંટણી દરમિયાન શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે મદદ કરવા તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ અહીં તો જવાનો જ બાખડી પડ્યા હતા અને ઝઘડાનું એવું ગંભીર સ્વરૂપ સામે આવ્યું કે તેમાં બે વ્યક્તિના જીવ ગયા છે.
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
પોરબંદરના નવી બંદર ખાતેના સાયકલોન સેન્ટરમાં આજે શનિવારે સાંજે આઈઆરબી (ઈન્ડિયન રિઝર્વ બટાલિયન)ના જવાનો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડો બોલાચાલીથી શરૂ થઈ આક્રમક બની ગયો હતો. એક તબક્કે ઝઘડામાં ફાયરિંગ થઈ ગયું હતું અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફાયરિંગના ધાડ ધાડ અવાજથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં બે જવાનોનું તો સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બીજા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જેમને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાબડતોબ હોસ્પિટલ દોડી આવી હતી.
ઝઘડા પાછળનું કારણ શું? તપાસ શરૂ
પોલીસે ઘટનાને લઈને મૃતકોના પોસ્ટ મોર્ટમ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે ઝઘડા પાછળ કારણ શું છે તેની હજુ સુધી વિગતો પોલીસે સત્તાવાર જાહેર કરી નથી. પરંતુ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ભયનો માહોલ ઊભો થયો છે. કારણ કે જ્યાં ચૂંટણી દરમિયાન પોરબંદરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા દળોની મદદ માટે આવેલા આઈઆરબી જવાનો જ જો અંદરો અંદર બાખડી પડે અને તેમાં પણ આટલું ગંભીર સ્વરૂપ જોવા મળે તો ચૂંટણી દરમિયાન સામાન્ય જનતાની સુરક્ષાને આવા જવાનોના હાથમાં કેટલી યોગ્ય સમજી શકાય.
કલેક્ટર અશોક શર્મા શું કહે છે
ચૂંટણી માટે જે સીએપીએફની બટાલિયન આવી હતી તેમાં આજે સાંજે 7 વાગ્યે કમનસીબે ફાયરિંગની ઘટના બની છે. જેમાં બે ઘટનાના મોત નિપજ્યા છે અને અન્ય બે જવાનોને ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. હાલ મામલો કંટ્રોલમાં છે. હાલ ચિંતાનો કોઈ વિષય નથી.
(વીથ ઈનપુટઃ અજય શિલુ, પોરબંદર)
ADVERTISEMENT
