Parshottam Rupala Statement : 'સમાધાન જ કરવા હોય...તો બાંયો ચડાવીને ફરાય જ નહીં', પદ્મિનીબા કોના પર બગડ્યા?

Gujarat Tak

29 Mar 2024 (अपडेटेड: Mar 29 2024 3:22 PM)

Parasottam Rupala Statement Controversy: લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રુપાલા (Parshottam Rupala) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Parasottama Rupala

'જયરાજસિંહ આપણા વડીલ મોટા ભાઈ...પણ સમાધાન નહીં થાય'

follow google news

Parasottam Rupala Statement Controversy: લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate)  પરસોત્તમ રુપાલા  (Parshottam Rupala) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે.  તેમના એક નિવેદનના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમના વિરુદ્ધ ઠેર-ઠેર આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યા છે, મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં એક પિટિશન દાખલ  કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને ડેમેજ કંટ્રોલનું સુકાન સોંપાયું છે.

આ પણ વાંચો

સમાધાન માટે જયરાજસિંહને સોંપાઈ જવાબદારી

આજે જયરાજસિંહ જાડેજા (JayrajSinh Jadeja)ના ફાર્મ હાઉસ ખાતે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિતની બેઠકનું આયોજન કરાયું છે. પરસોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત બને અને “ઘીના ઠામ માં ઘી” પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિંહ કરવાના છે. આ વચ્ચે હાલમાં જ ભાજપમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા મેદાને આવ્યા છે.

આ પણ વાંચોઃ Parshottam Rupala Statement : પરસોત્તમ રુપાલાની માફી છતાં ક્ષત્રિયો લાલઘુમ, ગુજરાતના રાજવી પરિવારે કર્યો બદનક્ષીનો દાવો

ગોંડલમાં સંમેલન પહેલા ઓડિયો ક્લિપ વાયરલ

કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલ ખાતે બેઠક મળે તે પૂર્વે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે, પરંતુ આમા જો સમાધાનની વાત આવશે તો આમાં આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. 

.... વિરોધ જ ન કરાયઃ પદ્મિનીબા વાળા

તેઓએ કહ્યું કે, આ આખા સમાજનો પ્રશ્ન છે, બહેન-દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતે બધાનું માન રાખવું? આ રીતે બધાનું માન રાખી-રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની? અમારે બહેન-દીકરીઓને શું સમજવાનું? જો છેલ્લે બધાનું માન જ રાખવાનું થતું હોય તો કોઈએ બાંયો ચડાવીને નીકળાય જ નહીં અને વિરોધ જ ન કરાય. 

'ટિકિટ રદ્દ થશે તો જ સમાધાન થશે'

તેઓએે કહ્યું કે, આમાં જો સાચું અને સારું રીઝલ્ટ આવે તો સારું છે, રૂપાલા ભાઈની ટિકિટ રદ્દ થશે તો જ સમાધાન થશે. આ જ સમાધાન...બીજુ કઈ સમાધાન નહીં. બીજી કોઈ ચર્ચા જ આમા કરવાની નથી થતી. 

શું છે સમગ્ર મામલો?

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. જેઓને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. તેઓએ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી.

રજવાડા અંગે આપ્યું હતું નિવેદન

આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા,  રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા. પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો અને ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.' 

વિવાદ વકરતા માંગી હતી માફી

રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. વીડિયો વાયરલ થયા બાદ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. વાયરલ વીડિયો અંગે પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, 'ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો. તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગુ છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.' જોકે, પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે.


ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp