Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલા દ્વારા 3-3 વખત માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી. પરસોત્તમ રૂપાલાની સાથે સાથે ક્ષત્રિય સમાજમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
નર્મદાના ગોપાલપુરામાં લગાવાયા બેનરો
ગુજરાતમાં ઠેર-ઠેર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામની બહાર બેનર લગાવવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં.

આ પણ વાંચોઃ 'અહંકાર હમેંશા હારે છે', રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ક્ષત્રિયોને સમર્થન
જયરાજસિંહ સામે પણ વ્યક્ત કર્યો આક્રોશ
આ મામલે ગિરીરાજ સિંહ નામના યુવકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, હું બહુ નાનો છું, પણ હું જયરાજસિંહ કહેવા માંગતો નથી કારણ કે તેણે આખા સમાજને ચેલેન્જ આપી છે. જયરાજ જાડેજાએ કહ્યું હતું કે અહીંયાથી અંત આવે છે જેને જે કરવું હોય એ કરી લો. તો જયરાજ જાડેજાને પણ જણાવવા માંગું છું કે તુ જે લોહીનો છે એ જ લોહીના અમે છીએ. આખા સમાજનો તુ કેવી રીતે ઠેકો લઈ શકે છે? તુ આખા સમાજનો કર્તાહર્તા છું? તેની વાતને અમે સહેજ પણ પ્રાધાન્ય આપતા નથી.
અમે તારી ચેલેન્જ સ્વીકારવા તૈયારઃ ગિરીરાજસિંહ
ગિરીરાજસિંહે કહ્યું કે, તુ સમાજનો કર્તાહર્તા નથી. તુ સમાજનો માય-બાપ નથી. તુ ખુલ્લેઆમ ચેલેન્જ આપવા આવતો હોય તો અમે તારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર બેઠા છીએ. તારું પાણી માપવાની તાકાત પણ અમારામાં છે.
પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ
તેમણે કહ્યું કે, અમારી માંગ માત્રને માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની છે. સમગ્ર ગુજરાતમાંથી પરસોત્તમ રુપાલાને ક્યાંથી ટિકિટ આપવામાં ન આવે. જો ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પક્ષે પરિણામ ભોગવવા તૈયાર રહેવું.
ગોંડલમાં યોજાયું હતું સંમેલન
આપને જણાવી દઈએ કે, રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ વિવાદ વકરતા ગોંડલના જયરાજસિંહ જાડેજા મેદાનમાં આવ્યા હતા. તેમણે ગોંડલના શેમાળા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવ્યું હતું. આ દરમિયાન જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. પરસોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, 'પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયું. રૂપાલાએ 40 મિનિટનો માફીનો વિડિયો મૂક્યો છે. તેમણે સમાજની માફી માગી છે એટલે આ વિવાદનો અંત આવી ગયો છે.' જે બાદ તેમણે વિરોધ કરનારાઓનો ખુલ્લી ચેલેન્જ આપી હતી. જેથી ક્ષત્રિય સમાજમાં હવે જયરાજસિંહ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.
ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા
ADVERTISEMENT
