અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ મેચ યોજાઈ હતી. રવિવારે વરસાદના કારણે ફાઈનલ ધોવાઈ ગઈ હતી. એવામાં પહેલીવાર રિઝર્વ ડે પર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બે દિવસમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી 50થી વધુ ફોન ચોરી થયા હોવાનું સામે આવી રહ્યું છે. ચાંદખેડા પોલીસ દ્વારા આ અંગે નોંધ લેવામાં આવી છે. તો લીગ સ્ટેજની મેચ દરમિયાન પણ કુલ 150 જેટલા ફોન ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. આમ 1 કરોડથી વધુની કિંમતના ફોન અમદાવાદના મોદી સ્ટેડિયમમાંથી ચોરાયા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં રવિવારે IPLની ફાઈનલમાં પ્રેક્ષકોએ એન્ટ્રી મેળવી લીધી હતી. બાદમાં વરસાદ પડતા મેચ કેન્સલ થઈ હતી. બીજા દિવસે સોમવારે મેચ રમાઈ હતી, જેમાં 75 હજારથી વધુ પ્રેક્ષકો આવ્યા હતા. ત્યારે આ બંને દિવસમાં સ્ટેડિયમની અંદર અને બહારથી 50 જેટલા ફોનની ચોરી થઈ હતી. જેમાંથી 2 ફોનની ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે અન્ય ફોન ચોરી થયાની નોંધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી છે. ફાઈનલ સિવાયની મેચમાં પણ રોજના 15થી 20 જેટલા ફોન ચોરી થયા હતા.
નોંધનીય છે કે, આ પહેલા પણ સ્ટેડિયમાં ફોનની ચોરી થયાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને ચાંદખેડા પોલીસે વોચ ગોઠવી હતી અને અમરાઈવાડીમાંથી ફોન ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. તેમની પાસેથી 100 જેટલા ફોન કબજે કરવામાં આવ્યા હતા. ત્યારે ફાઈનલ મેચમાં ફરી એકવાર ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો.
ADVERTISEMENT