વડોદરામાં વધુ એક શોભાયાત્રા વખતે થયો પથ્થરમારો

Urvish Patel

30 Mar 2023 (अपडेटेड: Mar 30 2023 12:45 PM)

વડોદરાઃ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામ નવમીએ નીકળેલી શોભાયાત્રા પર આજે સવારે પથ્થરમારો થયો હતો. જે પછી આજે બપોરે અહીંથી જ પસાર થતી વધુ એક શોભાયાત્રા…

gujarattak
follow google news

વડોદરાઃ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામ નવમીએ નીકળેલી શોભાયાત્રા પર આજે સવારે પથ્થરમારો થયો હતો. જે પછી આજે બપોરે અહીંથી જ પસાર થતી વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થવાની ઘટના બની છે. સામ સામે પથ્થરમારો શરૂ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બે ટોળાઓ સામ સામે પથ્થરો મારતા પોલીસે તુરંત કાફલો દોડાવ્યો હતો. સવારે જ્યારે પથ્થરમારો થયો ત્યારે પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો ત્યારે બપોર પછી વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે. ઘટનાની જાણકારી મળતા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને કડક પગલા ભરવાના આદેશ પણ આપ્યા છે.

આ પણ વાંચો

પોલીસે કર્યો હતો લાઠી ચાર્જ
દેશભરમાં આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના પણ સમાચાર છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને ભગાડી હતી.

IPL 2023 CSKvsGT માંથી કોણ જીતશે? જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

સમગ્ર વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ
પ્રથમ પથ્થરમારાના બનાવ દરમિયાન DCP ઝોન 3 યશપાલ જગાનિયાએ જણાવ્યું કે, સીટિ પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. લોકો જે એકઠા થયા હતા તેમને સમજાવીને પોતપોતાના ઘરે મોકલી દીધા છે, કોઈને ઈજા પહોંચી હોય તેવી ઘટના નથી. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મોરારીબાપુ તમને વંદન કરી કહું છું… હર્ષ સંઘવીએ રામ નવમીએ વચન આપતા શું કહ્યું

પોલીસ બંદોબસ્ત છતા પથ્થરમારો
જોકે પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસ માટે જાણે શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવી સ્થિતિ હતી. આ તરફ એક ટોળું છૂપાઈને પથ્થરમારો કરતું હતું ત્યાં બીજી બાજુ ખુલ્લે આમ પોલીસની બાજુમાં ઊભા રહીને લોકો પથ્થરમારો કરતા હોય તેવા પણ દૃશ્યો સામે આવ્યા છે. જોકે પોલીસે આ મામલે હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે કાયદો કેટલાને પાઠ ભણાવી બતાવે છે તે જોવું રહ્યું કારણ કે આ વડોદરાના એવા કેટલાક સંવેદનશીલ વિસ્તારો પૈકીનો એક છે જ્યાં દર થોડા વર્ષોમાં રાયોટિંગના બનાવો બનતા રહ્યા છે.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp