અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે PM મોદી પોતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. આજે રાતે નવા મંત્રીમંડળના ફાઇનલ લિસ્ટ પર મહોર લાગી શકે છે. આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી ગયા છે. રસ્તામાં જતી વખતે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ADVERTISEMENT
12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરીથી CM પદના શપથગ્રહણ કરશે
12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાનાં છે. ભૂપેન્દ્ર સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે, નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે અને કોને જાકારો આપવામાં આવશે હજી તેની પર કોઇ સ્પષ્ટતા નથી. ભાજપ પોતાના સિક્રેટ છેલ્લી ઘડી સુધી સિક્રેટ રાખવા માટે ખ્યાતનામ છે.
ગુજરાતના મંત્રીમંડળ અંગે દિલ્હીમાં થઇ ચર્ચા
ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે દિલ્હીમાં પણ વડાપ્રધાન મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ ચુકી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના ધારાસભ્ય દળના સર્વાનુમતે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. આ બેઠક પાંચ કલાક ચાલી હતી અને તેમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ સીઆર પાટીલના બંગલે પણ ચહેલ પહેલ વધી ગઇ હતી. દરેક મંત્રીઓ પોતાના લોબિંગ માટે ચર્ચા કરી હતી. અનેક ધારાસભ્ય અને ભુતપુર્વ મંત્રી રહી ચુકેલા નેતાઓએ તો છેક દિલ્હી સુધી છેડા અડાડી જોયા હતા.
ADVERTISEMENT