Gujarat: CM એ પુછ્યું કેટલી વખત પેપર ફુટ્યા? વિદ્યાર્થીઓએ કહ્યું 5 વખત પછી…

Krutarth

• 12:32 PM • 06 Mar 2023

ગાંધીનગર : ગુજરાતમાં સરકારી નોકરીઓનો મુદ્દો છેલ્લા થોડા સમયથી વિવાદિત રહ્યો છે. ગુજરાતમાં આજે ગૌણસેવા પસંદગી મંડળ અને GPSC દ્વારા પસંદગી પામેલા વિવિધ સંવર્ગના ઉમેદવારોને…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાતમાં સરકારી નોકરીઓનો મુદ્દો છેલ્લા થોડા સમયથી વિવાદિત રહ્યો છે. ગુજરાતમાં આજે ગૌણસેવા પસંદગી મંડળ અને GPSC દ્વારા પસંદગી પામેલા વિવિધ સંવર્ગના ઉમેદવારોને નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા. જેમાં બિન સચિવાલય ક્લાર્ક,સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ,ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 અને ખેતીવાડી અધિકારી વર્ગ -2 ના ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ પદના કુલ 2306 ઉમેદવારો, ગુજરાત શિક્ષણ સેવા સંવર્ગના કુલ 133 ઉમેદવાર અને ખેતીવાડી અધિકારી સંવર્ગના કુલ 92 ઉમેદવારો કુલ 2531 ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

મુખ્યમંત્રીએ નાગરિકો સાથે સારુ વર્તન કરવા માટેની ઉમેદવારોને સલાહ આપી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પોતે પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે દિલ ખોલીને ઉમેદવારો સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેદવારોને કેટલાક સુચનો પણ કર્યા હતા. નાગરિકો સાથે ખુબ જ સાલસ થઇને વર્તવું અને તેમની વાત સમજવી અને હંમેશા શાંતિથી જવાબ આપવો. કદાચ તેઓ ખોટા હોય તો પણ ખુબ જ શાંતિથી તેમને સમજાવવાનો પ્રયાસ કરવો જેવી સલાહ આપી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પહેલા એવું હતું કે, મંત્રી સાથે ઓળખાણ હોય તો નોકરી મળી જતી. જો કે હવે એવું નથી. હવે મંત્રી સાથે ઓળખાણ હોય તો 11 મહિના વાળી નોકરી મળી જાય પણ કાયમી નોકરી માટે તો પરિક્ષા જ આપવી પડે.

નાની મોટી ચોરી કરો તો વાંધો નહી પરંતુ પેપર ફોડી નાખો એ ન ચાલે
સીએમએ સ્વિકાર કર્યો કે, પરીક્ષામાં નાની મોટી ચોરી હોય તો ચાલે પરંતુ પેપર ફોડી નાખવા જેવી બાબત અયોગ્ય અને ખોટી છે. તેમણે પૈસાદાર લોકોને ટકોર કરતા કહ્યું કે, આવા લોકોને સરકારી નોકરીની જરૂર જ નથી. તેઓ આ પેપર ફોડીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી કરે છે. તમારા કારણે બીજા વિદ્યાર્થીઓ હેરાન થાય છે. તેમણે વિદ્યાર્થીઓને પુછ્યું હતું કે, તમારે કેટલી વખત હેરાન થવું પડ્યું જેના જવાબમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે, 5 વખત જેથી સીએમ પણ આશ્ચર્ય ચકિત થઇને કહ્યું કે, ઓહો 5 વખત હેરાન થવું પડ્યું તે ખોટું કહેવાય.

ડિપ્રેશનથી કંટાળી તમે જે પગલું ભરો તેના કારણે પરિવારને ભોગવવું પડે
જો કે સીએમએ ડીપ્રેશન મુદ્દે પણ સલાહ આપી કે, ડિપ્રેશન વળી શું હોય? પહેલાના જમાનામાં તો આવું કંઇ જ નહોતું. ડિપ્રેશનથી દુર રહેવું જોઇએ ડિપ્રેશન ડિપ્રેશન કરીને તમે કોઇ અજુગતુ પગલું ભરો તો તેના કારણે આખા પરિવાર દુખી થાય. તમારા પરિવારના લોકો પર આભ ફાટી પડે. તમને થશે કે પોતે મુખ્યમંત્રી બની બેઠા એટલે સલાહો આપી રહ્યા છે. જો કે એવું નથી એક છાપરા વાળા ઘરથી મારી શરૂઆત થઇ હતી. આજે અહીં સુધી પહોંચ્યા છીએ. પુરૂષાર્થથી હારવું ન જોઇએ તેવી સલાહ મુખ્યમંત્રીએ આપી હતી.

    follow whatsapp