- ગિરનાર પર મળશે ટેટ્રા પેકિંગમાં પાણી
- હાઈકોર્ટની કડક સૂચના બાદ લેવાયો નિર્ણય
- રૂ. 30માં મળી શકે છે એક લીટર પાણી
Junagadh News: દેશમાં પ્રથમ વખત જૂનાગઢના ગિરનારમાં ટ્રેટા પેકિંગમાં પાણી મળશે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા ગુજરાત હાઈકોર્ટની કડક સૂચના બાદ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિવરાત્રી સુધીમાં ગિરનાર પર ટેટ્રા પેકિંગમાં પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.
ગિરનાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ
ગિરનાર પર્વતને પ્લાસ્ટિક ફ્રી કરવાના હેતુથી વિવિધ પ્રતિબંધો લગાડી દેવામાં આવ્યા છે. ગિરનાર પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને તે માટે આકરી કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. જોકે, ગિરનારને પ્લાસ્ટિક ફ્રી કરવાની યોજનાથી પ્રવાસીઓને અને વેપારીઓને તકલીફ પડી રહી છે.
પાણીની બોટલો બંધ કરવામાં આવતા યાત્રિકો મુશ્કેલીમાં
વાત એવી છે કે, ગિરનાર પર પાણીની પ્લાસ્ટિકની બોટલ બંધ કરવાથી યાત્રિકોને તકલીફ પડી રહી છે. તો વેપારીઓને બહુ ખોટ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. એવામાં હવે ગિરનાર પર્વત પર ટેટ્રા પેકિંગમાં પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રૂ.30માં મળી શકે છે એક લીટર પાણી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટેટ્રા પેકિંગમાં એક લીટર પાણી રૂ.30માં મળી શકે છે. હાલ પુનાથી ટેટ્રા પેકિંગ પાણી મંગાવવામાં આવતું હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધુ થાય છે. ટૂંક સમયમાં રાજકોટ અને જૂનાગઢ ટેટ્રા પેકિંગ શરૂ થાય તો કિંમત ઘટી શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટને આપી છે મંજૂરી
આપને જણાવી દઈએ કે, નર્મદાનું પાણી ગિરનાર પર પહોંચાડવા મુખ્યમંત્રીએ 26 જાન્યુઆરીએ જ 25 કરોડના પ્રોજેકટને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે એ નક્કી નથી આથી ટેટ્રા પેકિંગ વિકલ્પ વિચારાઈ રહ્યો છે.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ)